કેન્દ્ર સરકારે બાયોમેટ્રિક આધારને પરમેનન્ટ એકાઉન્ટ નંબર કાર્ડ સાથે લિંક કરવા માટેની મહેતલને ૬ મહિના, એટલે કે ૩૦ સપ્ટેંબર, ૨૦૧૯ સુધી લંબાવી છે. આને કારણે ઘણા લોકોને રાહત થશે.
એક સત્તાવાર નિવેદનમાં આ જાહેરાત કરાઈ છે.તે છતાં, ઈન્કમ ટેક્સ રિટર્ન્સ ફાઈલ કરવા માટે આધાર નંબર આપવો ફરજિયાત જ રહેશે. સુપ્રીમ કોર્ટે આ માટે ઓર્ડર આપ્યો છે.સરકારે વ્યક્તિઓ માટે એમના પેન કાર્ડને એમના આધાર કાર્ડ નંબર સાથે જોડવા માટેની ડેડલાઈન આ છઠ્ઠી વાર લંબાવી છે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (સીબીડીટી)એ એક નિવેદનમાં જણાવ્યું છે કે હવે પેન કાર્ડને આધાર નંબર સાથે જોડવાની કટ-ઓફ્ફ ડેટ સપ્ટેંબર ૩૦, ૨૦૧૯ કરવામાં આવી છે.સીબીડીટી દ્વારા જણાવાયું છે કે એવા અહેવાલો હતા કે જેમના પેન કાર્ડ એમના આધાર નંબર સાથે ૩૧ માર્ચ સુધીમાં લિંક કરવામાં આવ્યા નહીં હોય તે અમાન્ય ગણાશે. પરિણામે સરકારે વિચારણા કરી છે અને મુદતને ૩૦ સપ્ટેંબર સુધી લંબાવી છે. જો કે ૧ એપ્રિલ, ૨૦૧૯થી આવકવેરા રિટર્ન ફાઈલિંગ સાથે આધાર નંબર જોડવો ફરજિયાત રહેશે.
સુપ્રીમ કોર્ટે ગયા વર્ષના સપ્ટેંબરમાં કેન્દ્ર સરકારની આધાર યોજનાને બંધારણીય રીતે કાયદેસર ઘોષિત કરી હતી અને એવો ચુકાદો આપ્યો હતો કે ઈન્કમ ટેક્સ રિટર્ન્સ ફાઈલ કરવા અને પેન કાર્ડની ફાળવણી કરવા માટે આધાર નંબર જોડવો ફરજિયાત રહેશે.