અયોધ્યામાં રામલલ્લા સામે મસ્તક નમાવવાની જેમનામાં હિંમત નથી એવા લોકોને રામભક્તોના મત નહીં મળે, એમ કેન્દ્રનાં પ્રધાન સ્મૃતિ ઈરાનીએ કહ્યું હતું.
કૉંગ્રેસનાં મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડ્રાએ અયોધ્યામાં વિખ્યાત હનુમાન મંદિરમાં પ્રાર્થના કર્યાના એક દિવસ બાદ સ્મૃતિ ઈરાનીનું આ નિવેદન આવી પડ્યું હતું. પ્રિયંકાએ હનુમાન મંદિરની મુલાકાત લીધી હતી, પરંતુ વિવાદાસ્પદ રામમંદિર-બાબરી મસ્જિદના સ્થળની મુલાકાત લેવાથી તે દૂર રહી હતી.
આ લોકોનું રાજકારણ જુઓ. તેઓ અયોધ્યા ગયા, પરંતુ રામલલ્લા સામે મસ્તક ન નમાવ્યું. મતના રાજકારણ માટે જેમનામાં રામલલ્લા સામે મસ્તક નમાવવાની હિંમત નથી તેમને રામભક્તોના મત પણ નહીં મળે, એમ ઈરાનીએ અહીં એક રેલીને સંબોધન કરતા કહ્યું હતું.
ચૂંટણીના દિવસે રામભક્તો મતદાન મથકે જશે અને વિકાસ માટે તેમનો મત આપશે, એમ તેમણે કહ્યું હતું.
આગળની પોસ્ટ