કોંગ્રેસમાં સામેલ થયાના બીજા દિવસે જ પ્રખ્યાત અભિનેત્રી ઉર્મિલા માંતોડકરે બીજેપી અને વડાપ્રધાન ઉપર આકરા પ્રહાર કરવાનું શરૂ કરી દીધું છે. ઉર્મિલાએ કહ્યું કે, દેશમાં અસહિષ્ણુતા વધી ગઈ છે. ઉર્મિલા બુધવારે કોંગ્રેસમાં સામેલ થઈ હતી અને બીજા જ દિવસે બીજેપી સામે આકરા પ્રહાર કરવાનું શરૂ કરી દીધું હતું.
મીડિયા સાથેની પ્રેસ કોન્ફરન્સમાં ઉર્મિલાએ મોદી સરકાર અને તેમની યોજનાઓ સામે પણ સવાલ ઉભા કર્યા હતા. જોકે ઉર્મિલાએ એવું પણ કહ્યું હતું કે, મોદી વ્યક્તિગત રીતે સારા માણસ છે પરંતુ તેમની નીતિ સારી નથી.મુંબઈમાં મીડિયા સાથે વાત કરતાં ઉર્મિલાએ કહ્યું કે, મેં ગાંધીજી અને નહેરુજી વિશે ઘણું વાંચ્યું છે. મારો પરિવાર પણ કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલો છે. આ લોકતાંત્રિક દેશ છે. લોકો જે ઈચ્છે તે તેમને બોલવાની, ખાવાની આઝાદી હોવી જોઈએ. પરંતુ આજની સ્થિતિ જુઓ. લોકો ધર્મના નામે એક બીજા સાથે લડી-ઝઘડી રહ્યા છે. લોકોમાં એક બીજા વિરુદ્ધ ખૂબ નફરત છે. ધર્મના નામે લોકો એકબીજાને મારવા માટે પણ તૈયાર છે. દેશમાં મોબ લિંચિંગની કેટલી ઘટનાઓ બની રહી છે.ઉર્મિલાને સવાલ કરવામાં આવ્યો કે, તેમણે આ વિશે કોંગ્રેસમાં સામેલ થયા પહેલાં કેમ સવાલ ઉભા ન કર્યા? ત્યારે તેમણે કહ્યું કે, અત્યાર સુધી મેં આ વિશે ઘર અને મિત્રો સાથે ઘણી વાત કરી છે પરંતુ હવે મને એક સ્ટેજ મળ્યું છે. તેથી હવે હું માત્ર ચાર દિવાલની વચ્ચે નહીં બોલું. હવે મારી વાત હું જાહેરમાં પણ કહી શકીશ. વધુમાં ઉર્મિલાએ કહ્યું કે, અહીં હું માત્ર ચૂંટણી લડવા નથી આવી, અનેક મુદ્દાઓ વિશે મારી લડાઈ ચાલુ રહેશે. હું મુંબઈની છું અને અહીંના લોકોની સમસ્યા સારી રીતે જાણું છું. જોકે આ દરમિયાન ઉર્મિલા કઈ સીટથી ચૂંટણી લડશે તે વિશેની કોઈ માહિતી આપવામાં આવી નહતી. નોંધનીય છે કે, ઉર્મિલા બુધવારે જ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રેસમાં જોડાઈ છે.