ચૂંટણી પંચ દ્વારા લોકસભા ચૂંટણી અને ચાર રાજ્યમાં વિધાનસભા ચૂંટણીઓની તારીખોની જાહેરાત થતા જ વિવાદ શરૂ થયો છે. જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી આયોજિત ન થવા પર ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા પછી બીએસપી સુપ્રિમો માયાવતી અને નેશનલ કોન્ફરન્સના નેતા ફારુક અબ્દુલ્લાએ પણ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યુ છે.
માયાવતીએ જણાવ્યું હતું કે મોદી સરકારની કાશ્મીર નીતિની નિષ્ફળતાની આ નિશાની છે. તો બીજી તરફ ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે જ્યારે બધા પક્ષ ઇચ્છે છે કે ચૂંટણી યોજાય, તો આમ કેમ ન થઇ શકે.માયાવતીએ ટ્વીટ કર્યું હતું કે જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી લોકસભાની ચૂંટણી સાથે ન કરાવવી, મોદી સરકારની કાશ્મીર નીતિની નિષ્ફળતાનો પુરાવો છે. જો સુરક્ષાદળ લોકસભાની ચૂંટણી કરાવી શકે છે તો તે જ દિવસે ત્યાં વિધાનસભાની ચૂંટણી શા માટે ન કરી શકાય? કેન્દ્રની દલીલ તર્ક વગરની છે અને ભાજપનું બહાનું પણ અર્થ વગરનું છે.
બીજી તરફ ફારુક અબ્દુલ્લાએ પત્રકારોને કહ્યું કે, બધા પક્ષ જમ્મુ-કાશ્મીરમાં એક સાથે ચૂંટણીની તરફેણમાં છે. લોકસભા ચૂંટણી માટે માહોલ અનુકૂળ છે, પરંતુ જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી માટે કેમ નહીં? સ્થાનિક પંચાયત ચૂંટણીઓ શાંતિપૂર્ણ થઈ, અહીં પર્યાપ્ત સુરક્ષા દળો હાજર છે, તો પછી વિધાનસભાની ચૂંટણી કેમ ન થઇ શકે?
ફારુક અબ્દુલ્લાએ એર સ્ટ્રાઇક વિશે પણ વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, અમને ખબર હતી કે પાકિસ્તાન સાથે નાનું યુદ્ધ થઇ શકે છે. પરંતુ એર સ્ટ્રાઇક એટલા માટે થઇ કારણ કે ચૂંટણીઓ નજીક છે. આપણે કરોડો રૂપિયાનું એક એરક્રાફ્ટ ગુમાવ્યું છે. જો કે સારી વાત એ છે કે પાયલટ બચી ગયો અને સન્માન સાથે પાકિસ્તાનથી પરત પણ આવ્યો છે.
આગળની પોસ્ટ