પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરૈશીએ સંકેત આપ્યા છે કે, તેઓ યુનાઇટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલમાં જૈશ-એ-મોહમ્મદના ચીફ મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવાનો વિરોધ નહીં કરે. હાલમાં જ ફ્રાન્સ, યુકે અને અમેરિકાએ મસૂદને ગ્લોબલ આતંકવાદી જાહેર કરવા માટે યુએનમાં એક નવો પ્રસ્તાવ રાખ્યો હતો. ૧૪ ફેબ્રુઆરીના રોજ કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર ફિદાયીન હુમલો થયો હતો, જેમાં ૪૪ જવાન શહીદ થયા હતા. આ હુમલાની જવાબદારી જૈશ-એ-મોહમ્મદએ લીધી હતી.
એક ઇન્ટરવ્યુમાં કુરૈશીએ કહ્યું કે, હવે સમય આવી ગયો છે કે, પાકિસ્તાને પોતાના હિતોને લઇને નિર્ણય કરવો જ પડશે. અમે એ જ કરીશું જે અમારાં હિતમાં હશે. શું પાકનું જૂનું મિત્ર ચીન ફરીથી વીટો કરશે? તેના જવાબમાં કુરૈશીએ કહ્યું, અમે પાકિસ્તાનના હિતોને લઇને દરેક પાર્ટીની વચ્ચે એકમત જાળવી રાખવાના પ્રયત્નો કરીશું. અમારી કેટલીક વૈશ્વિક પ્રતિબદ્ધતાઓ છે. અમે જે પણ કાર્યવાહી કરીશું, તેનાથી વિશ્વમાં અમારી છબીને કોઇ નુકસાન નહીં થાય.
ગત સપ્તાહે અમેરિકા, યુકે અને ફ્રાન્સે યુએનએસસીમાં એક નવો પ્રસ્તાવ મુક્યો હતો જે હેઠળ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવાની માગણી કરવામાં આવી છે. પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે, અઝહરને વિશ્વમાં ક્યાંય પણ મુસાફરી કરવા, હથિયાર ખરીદવા પર પ્રતિબંધ લગાવવો જોઇએ અને તેની સંપત્તિ કબજે કરી લેવી જોઇએ.
યુએનએસસીની સેક્શન કમિટી ૧૦ દિવસમાં નવા પ્રસ્તાવનો સ્વીકાર કરશે. અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવા માટે સુરક્ષા પરિષદમાં આ પ્રકારનો ચોથો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે. જૈશના ચીફને ગ્લોબલ આતંકવાદી જાહેર કરવા માટે ૧૦ વર્ષથી પ્રયાસો ચાલી રહ્યા છે.
પુલવામા હુમલા બાદ સ્થિતિ પર કુરૈશીએ કહ્યું કે, પાકિસ્તાન ભારતની સાથે યુદ્ધ નથી ઇચ્છતું, અમે શાંતિ ઇચ્છીએ છીએ. અમારાં લોકો નોકરીઓ, સંસ્થાઓમાં રિફોર્મ્સ અને ભ્રષ્ટાચાર પર અંકુશ ઇચ્છે છે.