વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બિહારના પટણામાં ગાંધી મેદાનમાં સંકલ્પ રેલીમાં ભાગ લેવા પહોંચ્યા હતા. સંકલ્પ રેલી દરમિયાન મોદીએ કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પાર્ટીઓ ઉપર તેજાબી પ્રહાર કર્યા હતા. મોદીએ હવાઈ હુમલાનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, કોંગ્રેસ અને તેમના સાથી પક્ષો આવી સંવેદનશીલ aસ્થિતિને લઇને એવી વાતો કરી રહ્યા છે જેના કારણે પાકિસ્તાનમાં તાળીઓ વાગી રહી છે. તેમના નિવેદનના કારણએ પાકિસ્તાનના લોકો ખુશ થઇ રહ્યા છે. મોદીએ ઘાસચારા કૌભાંડ અને બેનામી સંપત્તિનો ઉલ્લેખ કરીને આરજેડી ઉપર પણ પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, બિહારના લોકો સારી રીતે જાણે છે કે, ઘાસચારાના નામ ઉપર કયા કયા પ્રકારની રમત રમાઈ ચુકી છે. હવે સીધા બેંક ખાતામાં નાણાં જમા કરવામાં આવી રહ્યા છે જેથી વચેટિયાઓની ભૂમિકા ખતમ થઇ ચુકી છે. તેમણે કહ્યું હતું કે, જ્યારે અમારા દેશની સેના આતંકવાદને કચડી નાંખવામાં લાગેલી છે ત્યારે દેશની અંદર જ કેટલાક લોકો એવા રહેલા છે જેમના કારણે દુશ્મનના ચહેરા પણ ખીલી ગયા છે. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસ અને તેમના સાથી પક્ષો એવી વાત કરી રહ્યા છે જેના કારણે પાકિસ્તાનમાં તાળી વાગી રહી છે અને તેમની હેડલાઈન બની રહી છે. આતંકવાદના ફેક્ટ્રીની સામે એક સુરમાં વાત કરવાનો સમય આવી ગયો છે. દિલ્હીમાં ૨૧ પાર્ટીઓ એનડીએની સામે નિંદા પ્રસ્તાવ લઇને આવી હતી. દેશમાં કોઇપણ વ્યક્તિ તેમને માફ કરવાની સ્થિતિમાં નથી. મોદીએ કહ્યું હતું કે, આ દળોના નેતાઓ અમારા જવાનોના પરાક્રમ ઉપર શંકા વ્યક્ત કરી રહ્યા છે. આતંકવાદી સંગઠનોને ખતમ કરવા માટે પુરાવા માંગી રહ્યા છે. કોંગ્રેસ અને સાથી પક્ષો પાસેથી જાણવા માંગે છે કે, દેશના વિરોધીઓને શા માટે તેઓ ફાયદો પહોંચાડી રહ્યા છે. મોદીએ કહ્યું હતું કે, ગરીબ અને મધ્યમ વર્ગની કમાણી ખતમ કરીને જે લોકો પોતાની દુકાન ચલાવી રહ્યા હતા તે લોકો હવે ચોકીદારથી પરેશાન છે. ચોકીદારને ગાળો આપવાની પ્રક્રિયા ચાલી રહી છે પરંતુ ચોકીદાર ખુબ જ સાવધાન છે. સુરક્ષા ગરીબની હોય કે દેશની સુરક્ષા માટે ગઠબંધન મજબૂત દિવાલની જેમ છે. મોદીએ એમ પણ કહ્યું હતું કે, ગરીબો માટે જેટલા ફેંસલા કરવામાં આવી રહ્યા છે તે મજબૂતી સાથે લેવામાં આવી રહ્યા છે. આગળ પણ આ રીતે જ નિર્ણય લેવાશે.
કેન્દ્રની એનડીએ સરકારે ૫૦ કરોડ ગરીબ લોકોને પાંચ લાખ રૂપિયાની મફત સારવારની યોજના સાથે જોડી દીધા છે. અમારી સફળતા પણ ખુબ સફળરીતે દેખાઈ રહી છે. ૨૦૧૪થી હજુ સુધીનો સમય મૂળભૂત જરૂરિયાતોને પૂર્ણ કરવાનો રહ્યો હતો. હવે આગળનો સમય ૨૧મી સદીમાં દેશને નવી ઉંચાઈ ઉપર લઇ જવાનો છે. પહેલા પાંચ વર્ષમાં મજબૂત આધારશીલા મુકવામાં આવી છે. હવે આના ઉપર ભવ્ય ઇમારતનું નિર્માણ કરવામાં આવશે. મોદીએ ઉમેર્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષના ગાળામાં જેટલા કામ થયા છે. જો દેશમાં મહામિલાવટવાળી સરકાર રહી હોત તો આ કામ થયા ન હતો. વાજપેયી જ્યારે વડાપ્રધાન હતા ત્યારે અનેક યોજનાઓ શરૂ કરવામાં આવી હતી પરંતુ કોંગ્રેસ સરકારમાં તમામ કામગીરી રોકી દેવાઈ હતી. મહામિલાવટના ઘટક પક્ષો માત્ર સ્વાર્થ માટે જીવી રહ્યા છે. ોદીએ કહ્યું હતું કે, નવા ભારતની નવી નીતિ અને રીતિ રહી છે. હવે ભારત વીરોના બલિદાન ઉપર શાંતિથી બેસનાર ભારત નથી. શોધી શોધીને જવાબ આપવામાં માને છે. ઇસ્લામિક દેશોની પરિષદમાં ભારતને બોલાવવામાં આવ્યા હતા. છેલ્લા ૫૦ વર્ષમાં પ્રથમ વખત આ બાબત શક્ય બની છે. મોદીએ કહ્યું હતું કે, આજે દરેક ચીજો સુધરી રહી છે. એકબાજુ અમે ગરીબી, કુપોષણને દૂર કરવામાં લાગેલા છીએ. આતંકવાદને દૂર કરવામાં લાગેલા છીએ ત્યારે વિરોધીઓ મોદીને ખતમ કરવાની નીતિઓ ઉપર કામ કરી રહ્યા છે. વિરોધીઓની પ્રાથમિકતા મોદીને ખતમ કરવાની છે જ્યારે તેમની પ્રાથમિકતા ગરીબીને ખતમ કરવાની છે. તેઓ દેશ માટે રસ્તો બનાવી રહ્યા છે ત્યારે વિરોધીઓ તેમને રસ્તાથી દૂર કરવા માટે કાવતરા રચી રહ્યા છે. દેશના લોકો ફરી એકવાર મહામિલાવટવાળા લોકોને સજા આપવા માટે સજ્જ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્તમાન સમયમાં વિશ્વના દેશોમાં ભારતનો જે ડંકો વાગી રહ્યો છે તેનો પણ સ્પષ્ટપણે ઉલ્લેખ કર્યો હતો. મોદીએ કહ્યું હતું કે, ઇસ્લામિક દેશોની પરિષદ હાલમાં જ યોજાઈ હતી. આમા ભારતને સન્માન સાથે બોલાવવામાં આવ્યું હતું. અમારી બાબતોને ધ્યાનથી સાંભળવામાં આવી હતી. આ બેઠકમાં પણ આતંકવાદના મુદ્દે ચર્ચા થઇ હતી. મોદીએ દાવો કર્યો હતો કે, છેલ્લા ૫૦ વર્ષમાં ક્યારે પણ આ બાબત શક્ય બની ન હતી. મોદીએ સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સની ભારત યાત્રાનો ઉલ્લેખ કર્યો હતો. મોદીએ ક્રાઉન પ્રિન્સ સાથે વાતચીતનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, જ્યારે તેઓએ ક્રાઉન પ્રિન્સને કહ્યું કે, અમારા દેશના મુસ્લિમ સમુદાયના લોકો મોટી માત્રામાં હજ યાત્રા માટે જવા ઇચ્છુક છે ત્યારે ક્રાઉન પ્રિન્સે અમારા દેશના ક્વોટાને વધારીને બે લાખ સુધી કરી દેવાની જાહેરાત કરી હતી. અમારા નિવેદન બાદ જ ક્રાઉન પ્રિન્સે ભારતના ૮૦૦થી વધારે નાગરિકોને કેદમાંથી છોડી મુક્યા હતા. ભારતનો અવાજ આજે દુનિયાભરમાં સંભળાઈ રહ્યો છે. સાઉદીના ક્રાઉન પ્રિન્સ દ્વારા લેવાયેલા નિર્ણય બદલ તેઓ તેમનો આભાર માને છે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ