સામાન્ય રીતે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને શહેરના વિકાસના ઓઠા હેઠળ લાખો-કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટરના કામમાં રસ હોઈ જે તે પ્રોજેક્ટને લગતા નાના-મોટા મેન્ટેનન્સના કામ પ્રત્યે ગંભીરતા દાખવતા નથી. આનાથી શહેરનાં સ્મશાનગૃહો પણ બાકાત નથી.
સ્મશાનગૃહમાં ડાઘુઓને સામાન્ય સુવિધા મળી રહે તેમાં તંત્રને રસ હોતો નથી. વી.એસ. હોસ્પિટલ પાસેનું સ્મશાનગૃહ પણ સત્તાવાળાઓની ઉપેક્ષાનું ભોગ બન્યું હોઈ આ બાબત સ્ટેન્ડિંગ કમિટીમાં ચર્ચાસ્પદ બની હતી.
ખુદ મ્યુનિ. ભાજપના શાસકો કહે છે કેહતું કે, તંત્ર દ્વારા સ્મશાનગૃહનાં મોટા રિનોવેશનનાં કામને મહત્ત્વ અપાય છે, પરંતુ ડાઘુઓ માટે બેસવાના પૂરતા બાંકડા, પીવાનું પાણી જેવી સામાન્ય સગવડો જળવાઈ રહે તેની ઉપેક્ષા થાય છે. ખરેખર તો તંત્રે સ્મશાનગૃહ સંબંધિત નાના-મોટા મેન્ટેનન્સનાં કામને પણ ગંભીરતાથી લેવાં જોઈએ. દરમિયાન સ્મશાનમાં સફાઈ અને સિક્યોરિટીના ધાંધિયાં થઈ રહ્યાં છે.
વી.એસ. હોસ્પિટલ પાસેના સ્મશાનગૃહનું મેન્ટેનન્સ બાબતે ઉદાહરણ આપતાં ચેરમેન ભટ્ટે વધુમાં જણાવ્યું હતું કે આ સ્મશાનગૃહની લાકડાંની ભઠ્ઠીની ઉપરના બે એકઝોસ્ટ ફેન લાંબા સમયથી કટાઈ જવાના કારણે બંધ પડ્યા છે. આ પંખાના રિપેરિંગની તાકીદ તંત્રને કરાઈ છે.