લોકોના દ્વારે જિલ્લા પ્રશાસનના નવતર અભિગમ હેઠળ જિલ્લા કલેકટર શ્રી પી.ભારથીએ પાદરા તાલુકાના અંબાડા ગામે અને જિલ્લા વિકાસ અિધકારી ડૉ. સૌરભ પારધીએ શિનોર તાલુકાના માલપુર ગામે લોકોની રજુઆતો સાંભળી હતી. ગામડા માટેના લોક સંવાદ સેતુ જેવા આ કાર્યક્રમમાં ગ્રામ સુવિધાઓ અને મહેસુલી સેવાઓ, એસ.ટી. અને શિક્ષણ સેવાઓને સ્પર્શતા ૩૩થી વધુ પ્રશ્નો રજુ થયા હતા જેના સંતોષજનક નિરાકરણનું જિલ્લા પ્રશાસનના બંને નેતૃત્વ વાહકોએ વિગતવાર માર્ગદર્શન આપ્યુ હતું.
અંબાડાની જન સુનાવણીમાં વડોદરા ગ્રામના પ્રાંત અધિકારીશ્રી ડીંડોળ, મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી સહિત વિવિધ ખાતાઓના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અંબાડા ગામે લોકોએ ગામની શાળામાં ઉચ્ચતર માધ્યમિક શિક્ષણની સુવિધા આપવી, અનુસૂચિત જાતિ માટેના સ્મશાન સુધી રસ્તો-નાળાની સગવડની જરૂર, કૌટુંબિક રેશનકાર્ડસનું વિભાજન, મા અમૃતમ અને આધાર કાર્ડસથી વંચિતોના કાર્ડસ બનાવવા, પશુ દવાખાના-સબ સેન્ટર્સમાં કાયમી તબીબોની વ્યવસ્થાની જરૂર, અંબાડા સીમ વિસ્તારના કાંસમાં નાળુ બનાવવુ, અંબાડાથી કીર્તિસ્થંભની બસ સુવિધા સહિત વિવિધ બાબતોની રજુઆત કરી હતી. જિલ્લા કલેકટરશ્રીએ તેના સંતોષજનક નિરાકરણની સંબંધિતોને સૂચના આપી હતી.
માલપુર ગામે લોકોની રજુઆતોના અનુસંધાને જિલ્લા વિકાસ અધિકારીએ પશુઓ માટેના હવાડાઓને પાણીનું કનેકશન આપવા અને ગટર જોડાણથી વંચિત ઘરોને ડ્રેનેજ કનેકશન આપવા સૂચના આપી હતી. જ્યારે પ્રાથમિક શાળા અને આંગણવાડીમાં પેવર બ્લોક્સ બેસાડવા અને ફ્લોરીંગના સમારકામના કામોનો યોગ્ય અનુદાનોમાં સમાવેશ કરી લેવા સૂચના આપી હતી.