કેન્દ્ર સરકારે જાહેર કરેલી કિશાન સન્માન નિધી યોજનાની આજે રાજ્યના ૪ ઝોનમાં શરૂઆત કરવામાં આવી છે. વડોદરા નજીક વરણામા ગામ પાસે આવેલા ત્રિ મંદિર ખાતે વન અને પર્યાવરણ મંત્રી ગણપત વસાવાની ઉપસ્થિતિમાં કિશાન સન્માન નિધી યોજનાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વડોદરા તાલુકાના દરેક ગામમાંથી ૨૦-૨૦ ખેડૂતો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં ખેડૂતોને યોજના વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.
વન અને પર્યાવરણ મંત્રી ગણપત વસાવાએ જણાવ્યું હતુ કે, ભૂતકાળમાં કોઇ સરકારે ખેડૂતોની ચિંતા કરી નથી, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોને મદદરૂપ થવા અને તેમની ખેતીની આવક વધે તે માટે આ યોજના બનાવી છે અને ખેડૂતોની ખેતીની આવક વધશે તેવી તેઓએ આશા વ્યક્ત કરી હતી. જોકે લાભાર્થી ખેડૂતોએ આ રકમને મજાક રૂપ ગણાવી હતી અને આગામી સમયમાં ચૂટણી આવી રહી છે, તેના કારણે રાજસ્થાન અને મધ્યપ્રદેશની સરકારે કરેલા દેવા માફીના કારણે સરકાર આ સહાય ચૂકવી રહી છે તેમ જણાવ્યું હતું.