વર્લ્ડ કપ ૨૦૧૯માં ભારતીય ટીમ પાકિસ્તાન સાથે મેચ રમશે કે નહીં તે ચર્ચા વચ્ચે ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ પોતાની પ્રતિક્રિયા આપી છે. સચિન તેંડુલકરના નિવેદન પર ગાંગુલીએ કહ્યું કે, તેઓ (સચિન) પાકિસ્તાન વિરૂદ્ધ બે અંક ઈચ્છે છે, પરંતુ મારી આશા વર્લ્ડ કપની છે. તમે આ કોઈ પણ રીતે જુઓ.સચિને કહ્યું હતું કે ટૂર્નામેન્ટમાં ૧૬ જૂન પાકિસ્તાનની સાથે ન રમવાથી અને તેને મફતમાં બે પોઈન્ટ આપવા પાકિસ્તાનની મદદ કરવા જેવું જ રહેશે. જે તેને સારું નહીં લાગે. સૌરવ ગાંગુલીએ વર્લ્ડ કપમાં ભારતીય ટીમને ટાઈટલ જીતવા માટેનું પ્રબળ દાવેદાર ગણાવ્યું છે. સાથે જ તેઓએ કહ્યું કે શ્રીલંકા અને વેસ્ટઈન્ડિઝ જેવી ટીમો હકિકતમાં સારૂ રમી રહી છે. આ ટીમ ચોંકાવી શકે છે.ગાંગુલીએ કહ્યું કે, આ ૧૦ ટીમોનો વર્લ્ડ કપ છે અને પ્રત્યેક ટીમને એક બીજી ટીમ સામે રમવાનું છે. જો ભારત વર્લ્ડ કપમાં એક મેચ ન રમે તો તે કોઈ મોટો મુદ્દો નથી.સચિને શુક્રવારે સુનીલ ગાવસ્કરના વિચારોનું સમર્થન કરતાં કહ્યું હતું કે ભારતને વિશ્વ કપમાં પાકિસ્તાન વિરૂદ્ધ રમવું જોઈએ. તેને હરાવીને બે પોઈન્ટ મેળવવા જોઈએ. તેનાથી વિપરીત ગાંગુલીએ હરભજન સિંહના વિચારોનું સમર્થન કર્યું. તેઓએ કહ્યું કે પાકિસ્તાનની સાથે તમામ પ્રકારના ક્રિકેટ સંબંધો ખતમ કરી દેવાં જોઈએ. પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન જાવેદ મિયાંદાદે ગાંગુલીએ આ નિવેદનને પબ્લિક સ્ટંટ ગણાવ્યો. જેના પર ગાંગુલીએ કહ્યું, મને મિયાંદાદની ટિપ્પણી પર કોઈ પ્રતિભાવ નથી આપવો. મેં તેમની બેટિંગનો આનંદ ઉઠાવ્યો છે. મને લાગે છે કે તેઓ પાકિસ્તાનના સારા ખેલાડી હતા.