સુપ્રીમ કોર્ટે ગુરુવારે જણાવ્યું હતું કે તે રાફેલ મામલે આપેલા તેના પોતાના ચુકાદાની સમીક્ષા કરવા અંગે દાખલ થયેલી અરજી અંગે વિચાર કરશે. સર્વોચ્ચ અદાલતે ૧૪ ડિસેમ્બર ૨૦૧૮ના રોજ રાફેલ મામલે જાહેર હિતની અરજીઓને ફગાવી દીધી હતી.ઉલ્લેખનીય છે કે આ અરજીઓ કરનારાઓમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના જ નેતાઓ યશવંત સિંહા અને અરુણ શૌરી તથા દિલ્હીના જાણીતા ધારાશાસ્ત્રી પ્રશાંત ભૂષણેનો સમાવેશ થતો હતો. તેમની અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, ફ્રાન્સ પાસેથી મોદી સરકારે ૩૬ રાફેલ યુદ્ધ વિમાન ખરીદ્યા છે એ ખરીદીમાં કેન્દ્રની મોદી સરકારની નિર્ણય લેવાની પ્રક્રિયા શંકાના દાયરામાં છે, પરંતુ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ’રાફેલ સોદામાં શંકા કરવાનું કોઈ કારણ નથી. કેન્દ્ર સરકારે તમામ નિર્ધારિત પ્રક્રિયા અનુસરી છે.’સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈની અધ્યક્ષતામાં બનેલી બેન્ચ સમક્ષ આ મામલે ચાર અરજીઓ દાખલ થઇ હતી. બેન્ચના જસ્ટિસ એલ. એન. રાવ અને સંજીવ ખન્નાએ કહ્યું હતું કે, રાફેલ મામલામાં બેન્ચના ન્યાયમૂર્તિઓને ફેરબદલ કરવામાં આવશે. આ બહુ મુશ્કેલ છે, પરંતુ અમે કંઈક કરીશું. કોર્ટે કહ્યું હતું કે આ મામલાની સુનાવણી માટે એક ઉચિત બેન્ચ માટે એક તારીખ નક્કી કરવી મુશ્કેલ છે.પ્રશાંત ભૂષણે કહ્યું હતું કે, આપના રાજ્યસભાના સાંસદ સંજય સિંહ દ્વારા દાખલ કરવામાં આવેલી સમીક્ષા અરજી દોષપૂર્ણ હતી અને અન્ય કોઈ અરજીમાં કોઈ ક્ષતિ નહોતી. સમીક્ષા અરજી સિવાય કેન્દ્ર સરકારના કેટલાક કર્મચારીઓ વિરુદ્ધ અદાલતમાં ભ્રામક જાણકારી આપવા બદલ કેસ દાખલ કરવા અંગેની માંગ કરતી એક અરજી પણ દાખલ થઇ હતી.ભૂષણ સિવાય સિંહ અને શૌરીએ સોમવારે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા અને તેમાં કથિતરૂપે રાફેલ મામલામાં એક સીલબંધ કવરમાં ’જૂઠી અથવા ભ્રમ ફેલાવે તેવી’ માહિતી આપવા બદલ કેન્દ્ર સરકારના અધિકારીઓ વિરુદ્ધ બાકી રહેલી કાર્યવાહી શરુ કરવાની પણ માંગ કરવામાં આવી હતી.