ગુજરાત વિધાનસભાનું પાંચ દિવસીય સત્ર ચાલુ રહ્યું છે. જેમાં આજે ત્રીજા દિવસે ગૃહમાં બીજી બેઠકમાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીના એક વિવાદીત નિવેદનને પગલે સમગ્ર ગૃહમાં જોરદાર હોબાળો મચી ગયો હતો. ખાસ કરીને શાસક પક્ષના સભ્યોએ વિપક્ષ કોંગ્રેસ પર રીતસરની પસ્તાળ પાડી હતી. વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ લોખંડનો ભંગાર ભેગો કરી તેનો ભૂક્કો કરીને એમાંથી સરદારની પ્રતિમા બનાવી છે એમ જણાવતાં શાસક પક્ષ ભાજપને આ નિવેદન બહુ ચચર્યું હતું. જેને લઈને શાસક પક્ષે ધાનાણીના નિવેદન સામે જોરદાર વિરોધ નોંધાવ્યો હતો. જોતજોતામાં કોંગ્રેસ અને ભાજપ આમને સામને આવી ગયા હતા અને બંને પક્ષના ધારાસભ્યો શોરબકોર, હોબાળો અને સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા પરિણામે, વિધાનસભા ગૃહની કાર્યવાહી મુલતવી રાખવી પડી હતી. માણસાના ધારાસભ્ય સુરેશ પટેલે કેવડિયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી મુલાકાત અંગેનો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. કોંગ્રેસના લલિત વસોયા અને પ્રતાપ દૂધાતે એ સમયે સરકાર વિરોધી ટિપ્પણી કરી હતી ત્યારે જવાબ આપી રહેલા નાણામંત્રી નીતિન પટેલ ઉશ્કેરાઇ ગયા હતા. બંને નેતાઓને જણાવ્યું હતું કે તમે જય સરદાર જય સરદાર બોલી સરદાર પટેલના નામે જીતી ગયા છો અને આજે ધારાસભ્ય બની ગયા છો. તમે ટોપી પહેરતા હતા અને જય પાટીદાર જય સરદારના નારા લગાવતા લગાવતા. આજે વિધાનસભામાં ધારાસભ્ય બન્યા છો માટે તમને બોલવાનો કોઇ અધિકાર જ નથી. આ તબક્કે પરેશ ધાનાણીએ તેમના સભ્યોનો પક્ષ લેતા જણાવ્યું હતું કે, લોખંડી પુરૂષ સરદાર પટેલની પ્રતિભાને લોખંડના ભંગારના ભુક્કામાંથી પ્રતિમા બનાવી કેદ કરી સરકારે એકરીતે અપમાન કર્યું છે. ધાનાણના આ નિવેદનને લઇ ગૃહમાં શાસક પક્ષના સભ્યોએ જોરદાર વાંધો ઉઠાવ્યો હતો અને વિપક્ષના નેતાએ કરેલા શબ્દો પાછા ખેંચવાની ભાજપના સભ્યોએ જીદ કરી હતી. જોકે સામે કોંગ્રેસના સભ્યોએ પણ શબ્દો પરત નહી ખેંચવા સામે રાજકીય દલીલો કરતાં હતા. આ તબક્કે વિજય રૂપાણીએ ગૃહ સમક્ષ જણાવ્યું હતું કે, સરદાર પટેલ એક અનુભવ છે અને સમગ્ર દુનિયાભરમાં સૌથી મોટી પ્રતિમા આપણે બનાવી છે ત્યારે કોંગ્રેસ સરદારનું અપમાન કરે છે અને જવાબ સાંભળતા નથી. જો તમને વાંધો હોય તો પછી તમે ટીકા ટીપ્પણી કરો. દુનિયામાં સૌથી મોટો ઊંચામાં ઊંચી પ્રતિમા અમે બનાવી છે.
સરદાર પટેલ લોખંડી કહેવાતા હતા અને લોકોના પ્રતિક ઉઘરાવીને આવી હોવાનું જણાવ્યું હતું. બીજી તરફ પરેશ ધાનાણીએ કરેલા વિધાનના વિરોધમાં શબ્દો પાછા ખેંચવા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, તમારા વિધાન દરમિયાન તમે લોખંડનો ભંગાર શબ્દ કહી સરદાર પટેલનું અપમાન કર્યું છે. એટલે તમે શબ્દો પાછા ખેંચો આ તમને શોભતું નથી તેમ કહેતા બંને પક્ષે હોબાળો મચી ગયો હતો. બીજી તરફ પરેશ ધાનાણીએ પોતાનો બચાવ કરતા જણાવ્યું હતું કે, જે શબ્દોનો મેં પ્રયોગ કર્યો છે તેમાં કારણો વિધાનસભા ગૃહમાં તમે ભાષણો કર્યા છે જે રેકોર્ડ ઉપર છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી એકદમ ઉશ્કેરાઇ ગયા હતા. રૂપાણીએ જણાવ્યું હતું કે, પરેશભાઈએ ભંગારનો ભુક્કો એ શબ્દ સરદારના અપમાન સમાન છે માટે તેમણે માફી માગવી પડશે અને જ્યાં સુધી માફી નહીં માંગે ત્યાં સુધી ચાલશે નહીં તેવી ચીમકી ઉચ્ચારી હતી. આ તબક્કે પરેશ ધાનાણી પોતાનો બચાવ કરતા જણાવ્યું હતું કે, આ સરકારે કર્યું છે જેને રેકોર્ડ ઉપર લાવવા માટે પ્રયાસ કરે છે.
એટલું જ નહીં દાનમાં આવેલ લોખંડ હજુ પણ પડી રહી છે અને આ સરકારે ચાઈનાથી સરદાર પટેલની પ્રતિમા બનાવી દે નહીં તો શું? અંતે અધ્યક્ષે શબ્દો પરત ખેંચવા માટે પરેશ ધાનાણીએ કહ્યું હતું પરંતુ બંને પક્ષે દેકારો અને હોહા મચી જતાં અધ્યક્ષે ગૃહને સ્થગિત કરવાનિર્ણય કર્યો હતો.