પુલવામા આતંકી હમલાથી સમગ્ર દેશમાં ઉગ્ર ગુસ્સાનો માહોલ છે. આવા માહોલમાં દ્ધારકાપીઠના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ અયોધ્યામાં વિવાદિત સ્થળે રામમંદિર માટે શિલાન્યાસ અને અયોધ્યા કૂચનો કાર્યક્રમ સ્થગિત કરી દીધો છે.
શંકરાચાર્યે કહ્યું કે પુલવામા હુમલા પછી સમગ્ર દેશમાં યુદ્ધ જેવા સંજોગો નિર્માણ થયા છે અને આ સમયે આતંકવાદ સામે એકતાથી લડવાનો છે.વારાણસીમાં શંકરાચાર્યે કહ્યુ, હું અયોધ્યામાં શિલાન્યાસના કાર્યક્રમથી દેશનું ધ્યાન બીજે ભટકે એવી ઇચ્છા રાખતો નથી. આ માટે અમે અયોધ્યા શ્રીરામજન્મભૂમિ રામાગ્રહ યાત્રા અને શિલાન્યાસનો અમારો કાર્યક્રમ અમુક સમય સુધી સ્થગિત કરી રહ્યા છીએ. અવસરને અનુકુળ નવુ મુર્હત નિકાળીને આ બાબત અંગે અમે નવી જાહેરાત કરીશું. સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ જણાવ્યું કે અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેદ્ર ગિરિ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ફોન કરીને આ યાત્રા ટાળવાની વિનંતી કરી હતી. પરિણામે શંકરાચાર્યે દેશહિતમાં પોતાનો નિર્ણય મુલત્વી રાખ્યો છે.
ઉલ્લેખનીય છે કે જગતગુરૂ શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીએ અયોધ્યામાં રામમંદિર માટે શિલા પૂજન માટે લોકોને તૈયાર કરવા રામાગ્રહ યાત્રા કાઢવાનું એલાન કર્યુ હતુ.
પરમધર્મ સંસદ બાદ તેમણે ૨૧ ફેબ્રુઆરીના રોજ અયોધ્યા પહોંચીને શ્રીરામમંદિર માટે શિલાપૂજન કરવાનો નિર્ધાર કર્યો હતો અને લોકોને તેમની સાથે જોડાવાનું આહવાહન કર્યુ હતુ. સ્વરૂપાનંદના આ એલાન બાદ અયોધ્યામા સુરક્ષાવ્યવસ્થા માં વધારો કરવામાં આવ્યો હતો.પુલવામામાં હુમલાને પગલે શનિવારે કુંભનગરીમાં સંતોએ પણ મીણબત્તીઓ પ્રગટાવીને કૈન્ડલ માર્ચ કાઢીને શહીદોને ભાવભરી શ્રદ્ધાંજલિ આપી હતી.બીજા જાણીતા સંતોએ પણ અયોધ્યામાં ભાવિ કાર્યક્રમો હાલ પુરતા રદ્દ કર્યા છે.