સુરતના વરાછાના રત્નકલાકારને સાળી સાથેના અનૈતિક સંબંધને કારણે જીવ ગુમાવવો પડ્યો હતો. પોતાના ઘરસંસારમાં આગ લગાડનાર સાઢુભાઇએ જ બે મિત્રો સાથે મળી રત્નકલાકારને ચપ્પુના ઘા ઝીંકી રહેંસી નાંખ્યો હતો.
પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે વરાછા ખાતેની વર્ષા સોસાયટીમાં વિભાગ-૧માં રહેતો ૩૫ વર્ષીય દિનેશ જાધવ વાળા વ્યવસાયે રત્નકલાકાર હતો. ગત બુધવારે રાત્રે દિનેશ તેના ભત્રીજા અશોક સાથે નીકળ્યો હતો તે સમયે વરાછા, માતાવાડી ખાતેના વિઠ્ઠલનગરમાં ત્રણ યુવકોએ હુમલો કર્યો હતો. ઉપરાછાપરી ચપ્પુના ઘા ઝીંકી દેવાતા દિનેશનું સ્થળ ઉપર જ મોત થયું હતું.
બનાવ અંગે જાણ થતા જ વરાછા પોલીસ તપાસમાં દિનેશની હત્યા આડા સંબંધમાં થઇ હોવાનું બહાર આવ્યું હતું. દિનેશ તેની સગી સાળી સાથે અફેર હતું. આ અફેર અંગે સાળીના પતિ ભરતને જાણ થઇ ગઇ હતી. સાઢુભાઇ દિનેશને કારણે પોતાના ઘર સંસાર બગડી ગયો હોવાનું લાગતા ભરતે દિનેશના મર્ડરનો પ્લાન બનાવ્યો હતો.
ભરતે બે મિત્રો વિપુલ અને મનિષ સાથે મળી દિનેશને મોતને ઘાટ ઉતારી દીધો હતો. વરાછા પોલીસે સાઢુભાઈની હત્યા કરનારા ભરત અને તેના બે મિત્રો વિપુલ અને મનિષને પકડી પાડી આગળની કાર્યવાહી શરૂ કરી છે.