જાણીતા એક્ટર અને વિલન મહેશ આનંદ પોતાના ઘરમાં મૃત આવતા સિનેમાજગતમાં સન્નાટો પ્રસરી ગયો છે. શનિવારે તેમણે પોતાના યારી રોડ પર આવેલા ઘરમાં અંતિમ શ્વાસ લીધો હતો. તેઓ ૫૭ વર્ષનાં હતા. ૯૦નાં દશકમાં પોતાના અભિનયથી લોકોનાં દિલ જીતનારા મહેશ આનંદની આર્થિક સ્થિત બરાબર નહોતી. તેમણે લાંબા સમયથી કોઇ ફિલ્મ સાઇન નહોતી કરી. તેઓ લગભગ ૧૮ વર્ષથી આર્થિક સંકડામણમાંથી પસાર થઇ રહ્યા હતા. તાજેતરમાં જ તેમણે ગોવિંદાની ફિલ્મ ‘રંગીલા રાજા’થી કમબેક કર્યું હતુ. મહેશે ખુદ ઇન્ટરવ્યૂમાં કહ્યું હતુ કે, “૧૮ વર્ષ સુધી મને કોઇએ ફિલ્મોમાં સાઇન કર્યો નહીં, પરંતુ ભગવાન દયાળુ છે અને મને રંગીલા રાજામાં નાનકડો રૉલ મળ્યો.”
મહેશ આનંદે ‘રંગીલા રાજા’ ફિલ્મ મળવા વિશે કહ્યું હતુ કે, “મને નિહલાની જી તરફથી એક મેસેજ આવ્યો, જેમાં લખ્યું હતુ કે ‘કૉલ મી.’ મે તેમને કૉલ કર્યો તો તેમણે કહ્યું કે, બેટા, કેટલા વાગ્યે આવશો ઑફિસ? મારી પાસે તેમની ઑફિસ જવા માટે રીક્ષાનું ભાડુ ચુકવવાનાં પૈસા નહોતા.” આ પહેલા મહેશે પહલાજ નિહલાનીની ફિલ્મ ‘અંદાજ’ અને ‘આગ કા ગોલા’માં કામ કર્યું હતુ. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે મહેશ આનંદ મુંબઈનાં વર્સોવામાં એકલા રહેતા હતા. તેમની એક્સ વાઇફને જ્યારે તેમના નિધન વિશે પુછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, “મને આ વિશે કોઇ જ માહિતી નથી. વર્ષ ૨૦૦૨ પછી અમારી વચ્ચે કોઇપણ વાતચીત નથી થઇ.” ઉલ્લેખનીય છે કે મહેશ આનંદે ઉષા બચાની સાથે લગ્ન કર્યા હતા, પરંતુ ૨ વર્ષ પછી બંનેનાં છૂટાછેડા થઇ ગયા હતા.
વર્સોવા પોલીસે મહેશ આનંદનાં મોતને લઇને કેસ નોંધ્યો છે અને મુંબઈમાં રહેતી તેમની બહેનને આ મામલે જાણ કરી છે.
પાછલી પોસ્ટ