મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના સર્વપ્રથમ આયુષ્યમાન ભારત યોજના રાજકોટ ખાતે યોજવામાં આવેલા મેગા કેમ્પનો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે તારસ્વરે કહ્યું કે, ગરીબ દર્દીઓની ચિંતા સરકારે કરી છે. નાગરિકો પોતાનું દીર્ઘાયુ તંદુરસ્તીસભર વીતાવે એવી રાજ્ય સરકારની નેમ છે.
કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી વિશ્વની સૌથી મોટી આરોગ્ય યોજના આયુષ્યમાન ભારત હેઠળ રાજકોટ શહેરના ૯૬૦૦૦ પરિવારોના અંદાજિત પાંચ લાખ નાગરિકોને આરોગ્ય કવચ આપવા રાજકોટ મહાપાલિકા દ્વારા યોજવામાં મેગાકેમ્પમાં ઉપસ્થિત લાભાર્થીઓને સંબોધતા મુખ્યમંત્રી રૂપાણીએ ઉમેર્યું કે, આયુષ્યમાન ભારતના આ મેગા કેમ્પથી રાજકોટમાં સ્વાસ્થ્ય સુરક્ષાનો નવો સૂર્યોદય થયો છે.આયુષ્યમાન ભારત યોજના ગરીબો માટે આશીર્વાદરૂ૫ છે. જેનો લાભ દેશના ૧૦.૭૪ કરોડ પરિવારોના ૫૦ કરોડથી વધુ પરિવારોને મળવાનો છે.
રૂપાણીએ જણાવ્યું કે, ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારના એક પણ સભ્યને કોઇ બિમારી લાગુ પડે ત્યારે, ઘરના તમામ લોકો લાચારી અનુભવે છે. ગરીબોને સારવાર માટે કોઇની પાસેથી આર્થિક સહાય મેળવવા માટે હાથ લાંબો કરવો પડે છે. બિમારી ગંભીર અને લાંબી હોય તેવા સંજોગોમાં પરિવાર દેવામાં ડૂબી જાય છે. વળી, ઘરનો મોભી જ માંદો પડે ત્યારે સ્થિતિ કપરી બને છે. આવા સમયે મુખ્યમંત્રી અમૃતમ્ યોજના અને મા વાત્સલ્ય યોજના આ પરિવારો માટે આશીર્વાદરૂપ બને છે. ગંભીર બિમારીમાં સારામાં સારી હોસ્પિટલોમાં કેશલેસ સારવાર મળે છે. રાજ્ય સરકાર દ્વારા રૂ. એક હજાર કરોડની જોગવાઇ આ માટે જ કરવામાં આવી છે. હવે તો આયુષ્યમાન ભારત યોજના હેઠળ રાજકોટની ૨૫ સહિત ગુજરાતની ૨૬૦૦ હોસ્પિટલમાં રૂ. પાંચ લાખ સુધીની સારવાર મળશે.મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, નાણાના અભાવે આરોગ્યલક્ષી સેવાથી કોઇ ગરીબ દર્દી વંચિત ન રહી જાય તેની દરકાર રાજ્ય સરકારે લીધી છે. લોકોના ટેક્સના પૈસાનો સદ્દઉપયોગ થાય એવી વ્યવસ્થા વિકસાવવામાં આવી છે. દર્દીઓને દવા, યુવાનોને શિક્ષણ અને રોજગાર તથા ખેડૂતોને સિંચાઇની સુવિધા અગ્રક્રમે આપવામાં આવી છે.