ભરૂચના સંસદસભ્ય મનસુખ વસાવાના હસ્તે તાજેતરમાં જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના નવાવાધપુરા ગામે અંદાજે રૂા. ૮૬ લાખના ખર્ચે નવનિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખુલ્લું મુકાયું હતું.
જિલ્લા કલેકટર આર.એસ.નિનામા, જિલ્લા વિકાસ અધિકારી ર્ડો. જીન્સી વિલીયમ, જિલ્લાના અગ્રણી ધનશ્યામ દેસાઇ અને ગજેન્દ્રસિંહ જાડેજા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડો. કે.પી.પટેલ, આરોગ્ય વિભાગના અધિકારી/કર્મચારીગણ તેમજ ગ્રામજનોની વિશાળ ઉપસ્થિતિમાં યોજાયેલા ઓપરેશન થિયેટર સહિતની સુવિધાઓથી સજજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ઉકત લોકાર્પણ સમારોહમાં સાંસદ મનસુખભાઇ વસાવાએ તેમના પ્રસંગોચિત ઉદબોધનમાં નવાવાધપુરા ગામ સહિત આસપાસના વિસ્તારની અંદાજે ૧૯ હજારથી વધુ વસ્તીને આ આરોગ્ય કેન્દ્રનો આરોગ્યલક્ષી ઉપયોગ કરવાની સાથે કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી જન આરોગ્ય (આયુષમાન ભારત) યોજના તેમજ રાજય સરકારની વિવિધ યોજનાઓનો પૂરતો લાભ લેવા ખાસ અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે જિલ્લા કલેકટર આર.એસ.નિનામા અને જિલ્લા વિકાસ અધિકારી ર્ડો.જીન્સી વિલીયમે પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. અંતમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી કે.પી.પટેલે આભારદર્શન કર્યું હતું.