બીજેપી સરકાર પર સતત આકરા પ્રહારો કરી રહેલ શિવસેનાએ ગઠબંધન મામલે ફરી એકવાર પોતાના પક્ષ પર વજન આપ્યું છે. શિવસેનાએ આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને જાહેરાત કરી છે કે, મહારાષ્ટ્રમાં શિવસેના મોટા ભાઇની જ ભૂમિકામાં રહેશે અને એ જ રીતે દેશ અને રાજ્યની રાજનીતિ કરશે. શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મુંબઇમાં પાર્ટીના નેતાઓ અને સાંસદો સાથે મહત્વની બેઠક કરી હતી, બેઠક પછી શિવસેના નેતા સંજય રાઉતે સ્પષ્ટ કર્યું હતું કે, બેઠકમાં ગઠબંધન મામલે કોઇ પણ પ્રકારની ચર્ચા કરવામાં આવી નથી અને આ માટે કોઇ પણ પ્રસ્તાવ પણ આવ્યો નથી.સૂત્રો મુજબ બંને પાર્ટીઓના ખરાબ સંબધો સુધરી રહ્યા છે અને રાજ્યમાં ૪૮ લોકસભા સીટોમાં બંને પાર્ટીઓ ૨૪-૨૪ સીટો પર સમજૂતી સાથે ચૂંટણી લડશે.
બેઠક પછી સંજય રાઉતે ભારપૂર્વક સ્પષ્ટ કર્યું હતું કે, શિવસેના મહારાષ્ટ્રમાં મોટો ભાઇ છે અને તેનું આ પદ જળવાઇ રહેશે. ગઠબંધન મામલે તેમણે જણાવ્યું કે, બીજેપી તરફથી ગઠબંધન માટે કોઇપણ પ્રસ્તાવ મળ્યો નથી, જે લોકો શિવસેના સાથે ગઠબંધન કરવાનું વિચારી રહ્યા છે તેઓ આ મામલે ચર્ચા કરશે. અમે કોઇ પ્રસ્તાવની રાહ નથી જોઇ રહ્યા.
ઉલ્લેખનીય છે કે, લાંબા સમયથી ૨૦૧૪ સુધી બીજેપી અને શિવસેના વચ્ચે ગઠબંધન હતું જે હેઠળ બીજેપી રાજ્યમાં લોકસભાની વધારે સીટો પર ચૂંટણી લડતી હતી અને શિવસેના મહારાષ્ટ્ર વિધાનસભાની વધારે સીટો પર ચૂંટણી લડતી હતી. વર્ષ ૨૦૧૪માં આ ગઠબંધન સમાપ્ત થયું હતું જ્યારે બીજેપીએ મોદી લહેર સાથે મહારાષ્ટ્રમાં એકલા હાથે ૧૨૨ સીટો પર જીત મેળવી, જ્યારે શિવસેનાને માત્ર ૬૩ સીટો મળી હતી.
પાછલી પોસ્ટ