યોગ શિક્ષક બાબા રામદેવ માને છે કે ૧૦૦ કરોડ કરતા વધારે વસતી ધરાવતા ભારત દેશની પ્રાથમિકતા વસતી વધારા પર નિયંત્રણની હોવી જોઈએ. બુધવારે અલીગઢ ખાતે એક ભાષણમાં બાબાએ જણાવ્યું હતું કે, સરકારે એકથી વધારે બાળકો ધરાવતા લોકોનો મતાધિકાર છીનવી લેવો જોઈએ.
દેશની વસતી પર નિયંત્રણ માટે સરકારે બેથી વધારે જન્મ આપતા લોકોનો મતાધિકાર, નોકરી અને સ્વાસ્થ્યની સગવડતા બંધ કરી દેવી જોઈએ, પછી તે હિન્દુ હોય કે મુસ્લિમ. દેશની વસતી પણ નિયંત્રણ મૂકવા માટે આ જ ઉત્તમ રસ્તો છે.
જોકે, આવું પ્રથમ વખત નથી બન્યું જ્યારે બાબા રામદેવે આવું નિવેદન આપ્યું હોય. ગયા વર્ષે તેમણે આનાથી પણ વધારે આક્રમક નિવેદન કરતા કહ્યુ હતુ કે જે લોકોને બે કરતા વધારે બાળકો છે તેમને સરકારી સ્કૂલોમાં પ્રવેશ આપવો જોઈએ નહીં. એટલું જ નહીં તેમને સરકારી નોકરી અને સરકારી હોસ્પિટલોમાં સારવાર પણ ન આપવી જોઈએ.
૫૨ વર્ષીય બાબાએ વધુમાં કહ્યુ હતુ કે, મારા જેવા લોકો કે જેમણે લગ્ન નથી કર્યાં તેમને ખાસ સન્માન મળવું જોઈએ. મારે સામાનના થેલા લઈને જવું નથી પડતું. મેં એક બ્રાન્ડ બનાવી છે. હું આવી જ બીજી ૧૦૦૦ બ્રાન્ડ બનાવવા માંગું છું, જે ભારતને ૨૦૫૦ સુધી દુનિયાની સૌથી મોટી ઇકોનોમી બનાવશે.” રામદેવે પતંજલિ બ્રાન્ડની સફળતા પાછળ પોતે અપરિણીત હોવાનું જણાવ્યું હતું.