ભાજપ શાસિત મહારાષ્ટ્ર સરકારે શિવસેના ના સ્વર્ગસ્થ સ્થાપક બાલ ઠાકરેના સ્મારક નિર્માણ માટે ૧૦૦ કરોડ રૂપિયાના બજેટને મંગળવારે મંજૂરી આપી દીધી છે. રાજ્યના મંત્રીમંડળે સ્મારકના નિર્માણ માટે ભંડોળને મંજૂર કરવાનો નિર્ણય ઠાકરેની જયંતિની પૂર્વસંધ્યાએ લીધો છે. શિવસેનાએ ભાજપ સરકારના આ પગલા પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, અમે રાજ્ય સરકારના નિર્ણયથી ખુશ છીએ પરંતુ સરકારના આ નિર્ણયથી આગામી ચૂંટણી માટે બંને પાર્ટીઓની વચ્ચે ગઠબંધનની શક્યતાને કોઇ લેવા-દેવા નથી.બીએમસી બુધવારના રોજ સ્મારકના નિર્માણ માટે ભૂમિનો કબજો ટ્રસ્ટને સોંપશે. મંત્રીમંડળની બેઠક બાદ નાણામંત્રી સુધીર મુનગંટીવારે જણાવ્યું કે ભાજપ અને તેમના સહયોગી દળ શિવસેનાની વચ્ચે મધુર સંબંધ છે અને રહેશે. કેન્દ્ર અને મહારાષ્ટ્ર સરકારમાં બીજેપની સહયોગી શિવસેના અવારનવાર બંને સરકારોની ટીકા કરતી રહે છે. ગત વર્ષે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ આગામી ચૂંટણી એકલા લડવાની જાહેરાત કરી હતી.રાજકીય તજજ્ઞો ભાજપ સરકારની આ પહેલને શિવસેના સાથેના સંબંધ સુધારવાના પ્રયાસ ગણી રહ્યાં છે.