ગુજરાત કોંગ્રેસમાં અંદરોઅંદરના વિખવાદ ચરમસિમાએ પહોંચ્યો છે પરિણામે કોંગ્રેસમાં ખાનગી બેઠકોનો દોર હજુય જારી રહ્યો છે. લોકસભાની ચૂંટણી નજીક આવી છે ત્યારે કોંગ્રેસના જૂથવાદથી ખુદ હાઇકમાન્ડ પણ ચિંતિત છે. વાસીઉત્તરાયણના દિવસે જ વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણી અને ઉપનેતા શૈલેષ પરમારને હાઇકમાન્ડે તેડું મોકલાવ્યુ હતુ. જેના પગલે બંન્ને નેતાઓ દિલ્હી પહોંચ્યા છે.સૂત્રોના મતે, ધારાસભ્ય અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાઇ રહ્યાં છે તેવી ચર્ચાએ જોર પકડયુ છે. બીજી તરફ,અર્જૂન મોઢવાડિયા સહિતના સિનીયર નેતાઓએ પણ અસંતોષ વ્યક્ત કર્યો છે. આ જોતાં હાઇકમાન્ડે સિનીયર નેતાઓને તો ખખડાવી ચૂંટણીકામે લાગી જવા સૂચના આપી છે.
આ તરફ, અલ્પેશ ઠાકોરને વિધાનસભાના ઉપનેતા બનાવવા હાઇકમાન્ડે મન બનાવ્યુ છે ત્યારે શૈલેષ પરમાર અન્ય હોદ્દો આપી મામલો થાળે પાડવા રણનીતિ ઘડાઇ છે. દિલ્હીમાં આ મુદ્દે બંન્ને નેતાઓ સાથે ચર્ચા કરાશે. સાથે સાથે લોકસભાની ચૂંટણીને જોતા વર્તમાન રાજકીય પરિસ્થિતી વિશે પણ વાત થઇ શકે છે.
લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે કોંગ્રેસમાં પણ આંતરિક ઝગડાઓ હવે સપાટીએ આવી રહ્યાં છે. કચ્છમાં પણ કંઈક આવું જ થયું. અહીં કોંગ્રેસમાં આંતરિક ભડકો સામે આવ્યો છે. કચ્છ કોંગ્રેસ અને યુથ કોંગ્રેસ વચ્ચે આંતરિક ખેંચતાણ ચાલી રહી છે. કચ્છમાં એક કાર્યક્રમમાં યુથ કોંગ્રેસનાં પોસ્ટરો લાગ્યાં. પોસ્ટરમાં પ્રદેશ પ્રમુખ તેમજ જિલ્લા પ્રમુખની બાદબાકી કરવામાં આવી છે.
લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ચૂંટણી પહેલાં કોંગ્રેસમાં મતભેદ પણ સામે આવ્યાં છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસમાં જાતીવાદને લઈને એક વાર ફરી રાજકારણ ગરમાયું છે. સાણંદમાં કોંગ્રેસથી નારાજ કાર્યકરોએ એક બેઠકનું આયોજન કર્યુ હતું. જેમાં અમદાવાદ જિલ્લા તથા તાલુકાનાં કાર્યકરો તેમજ આગેવાનો સાથે બેઠક યોજાઇ હતી.