દેશની સાથે-સાથે ગુજરાતમાં પણ ફરી એકવાર કોરોના વાયરસ (Coronavirus) માથું ઊંચકી રહ્યો છે. છેલ્લા થોડા દિવસોમાં કોરોનાના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ગુરુવારે અમદાવાદમાં કોરોના વાયરસના કારણે દર્દીનું મોત (Coronavirus Death) થયું હતું. આ મોત સાથે જ રાજ્યમાં કોરોના વાયરસથી થયેલો મૃત્યુઆંક 11,050 પર પહોંચ્યો છે. અમદાવાદમાં છેલ્લે કોરોનાથી 28 જાન્યુઆરીએ એક મોત થયું હતું.
ગુરુવારે સતત બીજા દિવસે શહેરમાં કોરોના વાયરસના 100થી વધુ કેસ નોંધાયા હતા. ગુરુવારે અમદાવાદ (Coronavirus Cases in Ahmedabad)માં કોરોનાના નવા 142 કેસ નોંધાયા છે જ્યારે બુધવારે નવા 124 કેસ નોંધાયા હતા. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 262 નવા કેસ નોંધાયા હતા જેમાં 142 કેસ સાથે અમદાવાદ કોરોના સંક્રમણમાં મોખરે હતું. રાજ્યના અન્ય શહેરોની વાત કરીએ તો, મોરબીમાં 18, સુરત શહેરમાં 17, રાજકોટ શહેરમાં 15 અને વડોદરામાં 10 કેસ નોંધાયા હતા.
રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર, રાજ્યમાં હવે કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા 1,179 થઈ છે અને ચાર દર્દીઓ વેન્ટિલેટર પર છે. કોરોનાથી થયેલા છેલ્લા 50 મૃત્યુ 212 દિવસમાં અથવા તો દર ચાર દિવસે એક મોત હતું તેમ કહી શકાય. તેના પહેલાના 50 મૃત્યુ 43 દિવસમાં થયા હતા.
અમદાવાદમાં પોઝિટિવિટી રેટ 8.2 ટકા અને વડોદરામાં 7 ટકા છે જે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા નોંધાયેલી ટકાવારી કરતાં 5 ટકા વધારે છે. દરમિયાન, ગુરુવારે કેંદ્રીય આરોગ્ય મંત્રાલયે આપેલા આંકડા પ્રમાણે, દેશમાં કોરોના વાયરસના નવા 1300 કેસ નોંધાયા હતા. જે 140 દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ હતા. જે બાદ દેશમાં એક્ટિવ કેસોનો આંકડો વધીને 7,605 થયો છે. 13 માર્ચે ભારતમાં કોરોનાના નવા 444 કેસ નોંધાયા હતા અને એ વખતે એક્ટિવ કેસ 3,809 હતા.