ગુજરાત રાજય મહિલા આયોગ અને જિલ્લા પંચાયત વડોદરાના સહયોગથી વડોદરા તાલુકાના સોખડા ખાતે મહિલા સમુદાયને સુમાહિતગાર કરવા કાયદાકીય જાગૃતિ શિબિરને આયોગના અધ્યક્ષા શ્રીમતી લીલાબેન અંકોલીયાએ ખુલ્લી મુકી હતી.
ગુજરાત રાજય મહિલા આયોગ અધ્યક્ષા શ્રીમતી લીલાબેન આંકલિયાએ જણાવ્યું હતું કે રાજયમાં મહિલાઓના અધિકારો અને હિતોના રક્ષણ માટે ૨૪૦ નારી અદાલતોની રચના કરવામાં આવી છે. આયોગ દ્વારા મહિલાઓને લગતા ૨૬૦૦૦ ઉપરાંત કેસોમાં સુખદ સમાધાન કરવામાં આવ્યું હોવાનું તેમણે ઉમેર્યું હતું.
શ્રીમતી અંકોલિયાએ જણાવ્યું કે મહિલાઓના હકકો અને અધિકારો માટે કાયદાકીય જોગવાઇઓ કરવામાં આવી છે. ત્યારે મહિલાઓએ કાયદાની જાણકારી મેળવી અન્યાય, અત્યાચારના કેસોમાં કાયદાનો સહારો લેવા તેમણે અનુરોધ કર્યો હતો. રાજય સરકારે મહિલાઓના સામાજિક, આર્થિક વિકાસ માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મુકી છે તેનો મહત્તમ લાભ લેવા તેમણે જણાવ્યું હતું.
સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટે જણાવ્યું કે મહિલા આયોગે સેકડો પરિવારોને તૂટતા બચાવી તેમને જોડવાનું કામ કર્યું છે. સમાજ અને રાષ્ટ્રને મજબૂત બનાવવા માટે મહિલા સશકિતકરણ માટે રાજય સરકારે લીધેલા પગલાંની તેમણે વિસ્તૃત વિગતો આપી હતી. આ અવસરે મહિલા બાળકલ્યાણ સમિતિના અધ્યક્ષા મણીબેન વસાવા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી પી.બી.વસૈયા, મહિલા સામખ્યના અપેક્ષાબેન ભટ્ટે મહિલા વિષયક કાયદાઓની વિસ્તૃત સમજ આપી હતી. આ અવસરે સરપંચશ્રી, પદાધિકારીઓ તેમજ વિશાળ સંખ્યામાં નારી શકિત ઉમટી પડી હતી.