Aapnu Gujarat
ગુજરાત

ઉત્તરાયણમાં ૪ હજારથી વધારે પક્ષી ઇજાગ્રસ્ત

આ વખતે શનિવાર-રવિવારની એકસ્ટ્રા રજા ઉપરાંત સોમવારે ઊતરાયણ અને મંગળવારે વાસીઊતરાયણ એમ કુલ ચાર દિવસનો ઊતરાયણનો તહેવાર પતંગરસિયાઓ રાજયભરમાં ભારે હર્ષોલ્લાસ અને ઉમંગ સાથે મનાવ્યો હતો પરંતુ આ ચાર દિવસ દરમ્યાન ખુલ્લા આકાશમાં મુકતમને વિહરતાં મૂંગા-અબોલ પક્ષીઓ પંતગની દોરીથી ખૂબ મોટી સંખ્યામાં ઘવાયા હતા. ખુદ વનવિભાગના અધિકારીઓ દ્વારા હાથ ધરાયેલી ગણતરીમાં જ આ વખતની ઊતરાયણમાં માત્ર અમદાવાદ જિલ્લામાં જ ચાર હજારથી વધુ પક્ષીઓ ઘાયલ થયા હતા તો, દોરીમાં ફસાઇ જવાથી અથવા તો કપાઇ જવાથી ૩૦૦થી વધુ પક્ષીઓ અમદાવાદ જિલ્લામાં જ મોતને ભેટયા હતા. ચોંકાવનારી વાત એ છે કે, આ વર્ષે ઘવાયેલા પક્ષીઓનો આંક ગત વર્ષની સરખામણીમાં ઘણો વધારે અને નોંધપાત્ર સામે આવ્યો છે. બીજો મહત્વનો સવાલ એ છે કે, જો માત્ર અમદાવાદમાં જ ચાર હજારથી વધુ પક્ષીઓ ઘવાયા હોય અને ૩૦૦થી વધુ પક્ષીઓ મોતને ભેટયા હોય તો વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર સહિત રાજયભરમાં પક્ષીઓના મોત અને ઇજાનો આંક હજારોમાં હોઇ શકે છે. રાજય સરકારના કરૂણા અભિયાનની મસમોટી વાતો અને તંત્રના કથિત દાવાઓ અને પ્રયાસો છતાં આ વર્ષે ઊતરાયણમાં હજારોની સંખ્યામાં પક્ષીઓ ઘાયલ થયા છે અને સેંકડોની સંખ્યામાં મોતને ભેટયા છે. વનવિભાગના આંકડા પ્રમાણે, માત્ર અમદાવાદ જિલ્લામાં જ ૪૧૭૫થી વધુ પક્ષીઓ ઘાયલ થયા છે, જયારે ૩૦૦થી વધુ પક્ષીઓના કરૂણ મોત નીપજયા છે. આ આંકડા માત્ર અમદાવાદ જિલ્લાના જ છે, તેના પરથી રાજયના અન્ય શહેરો અને જિલ્લાઓના પક્ષીઓના મોત અને ઇજાના આંકનો અંદાજ આવી શકે તેમ છે. આઘાતજનક વાત એ છે કે, આ વર્ષે ઘવાયેલા પક્ષીઓનો આંક ગત વર્ષની સરખામણીમાં ઘણો વધારે છે. દરમ્યાન ચંદ્રેશ પટેલ ઇન્ટરનેશનલ એન્વાયર્નમેન્ટ ફાઉન્ડેશનના ફાઉન્ડર ચંદ્રેશ પટેલે ઊતરાયણ મનાવવાની લ્હાયમાં નિર્દોષ પક્ષીઓનો ભોગ લેવાઇ ગયો એ કરૂણ વાસ્તવિકતા છે. તહેવાર મનાવવાની કોઇને ના હોઇ જ ના શકે પરંતુ તહેવારની લ્હાયમાં નિર્દોષ પક્ષીઓનું જીવન ખતમ અથવા તો કાયમી અપંગ થઇ જાય તે હદનો અત્યાચાર કેટલા અંશે યોગ્ય અને વાજબી કહી શકાય? તેમણે ઊત્તરાયણ પૂર્ણ થઇ ગઇ હોઇ ઝાડ-થાંભલા કે અન્ય સ્થળોએ ભરાયેલી દોરી તોડી કાઢી નાંખવા અને તેનો વ્યવસ્થિત રીતે નિકાલ કરવા નાગરિકોને અનુરોધ કર્યો હતો કારણ કે, આવી લટકતી અને ખુલ્લી દોરીઓમાં ફસાઇ જવાથી મહત્તમ પક્ષીઓ ઇજાગ્રસ્ત અથવા મોતને ભેટતા હોય છે અથવા તો ઘાયલ થતા હોય છે.
ઉલ્લેખનીય છે કે, આ વખતે સરકારના કરૂણા અભિયાનમાં પ્રણામ ગ્રુપ, સંવેદના ગ્રુપ, સંવેદના ફાઉન્ડેશન, ચંદ્રેશ પટેલ ઇન્ટરનેશનલ એન્વાયર્નમેન્ટ ફાઉન્ડેશન સહિત ૨૭૦ જેટલી સ્વૈચ્છિક સંસ્થાઓ પણ જોડાઇ હતી. વનવિભાગના ૧૫૦થી વધુ કર્મચારીઓ અને હેલ્પલાઇનમાં દસથી વધુ કર્મચારીઓ રાઉન્ડ ધ કલોક ૨૪ કલાક પક્ષીઓની સારવાર અને બચાવવામાં સતત કાર્યરત રહ્યા હતા.

Related posts

સોમનાથમા વેકસીનેશન મહા અભિયાનનો શુભારંભ

editor

ઇંડિયન લાયન્સ સ્વર્ણિમ કલબ દ્વારા પૂર્વ ચિફ પેટર્નના જન્મ દિવસની અનોખી ઉજવણી

editor

કાલુપર રેલવે સ્ટેશન પ્લેટફોર્મ ટિકિટના ભાવ વધારો થયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1