ગયા અઠવાડિયે ૧૦થી ૫૦ વર્ષની વયની બે મહિલાઓએ સબરીમાલા મંદિરમાં પ્રવેશ કરતા રાજ્યમાં તોફાનો ફાટી નીકળ્યા હતા. આ દરમિયાન એક ૩૬ વર્ષીય દલિત મહિલા કાર્યકરે સબરીમાલા મંદિરમાં ભગવાન અય્યપ્પાના દર્શન કર્યાનો દાવો કર્યો છે. મહિલાના કહેવા પ્રમાણે તેણે પોતાના વાળને રંગી નાખ્યા હતા અને પોતે વૃદ્ધા હોય તેવો વેશ ધારણ કર્યો હતો. મહિલાએ મંગળવારે વહેલી સવારે સબરીમાલા મંદિરમાં પ્રવેશ કર્યો હતો.
પી મંજુ નામની ૩૬ વર્ષીય મહિલાએ ફેસબુક પોસ્ટ લખીને દાવો કર્યો છે કે તેણીએ વૃદ્ધ મહિલા હોવાનો ઢોંગ કરીને પવિત્ર મંદિરમાં પ્રવેશ કર્યો હતો. મંજુએ મંદિર ખાતે દર્શન કરતી હોય તેવી તસવીર પણ પોસ્ટ કરી છે. પોલીસે આ અંગે કહ્યું છે કે મહિલાના દાવા પર અમે તપાસ કરી રહ્યા છીએ.
મંજુએ દાવો કર્યો હતો કે તેણીએ પોલીસની સુરક્ષા વગર જ મંદિરમાં ભગવાનના દર્શન કર્યા હતા. તેણી ભીડ સાથે જ મંદિરમાં પ્રવેશી હતી. નોંધનીય છે કે આ પહેલા ઓક્ટોબર મહિનામાં પણ મંજુએ ૨૦ મહિલાઓ સાથે મંદિરમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદમાં જમણેરી વિંગના કાર્યકરોએ દક્ષિણ કેરળના કોલ્લમ ખાતે આવેલા તેના ઘર પર હુમલો કર્યો હતો.
મંજુએ કહ્યું કે, “મેં ભગવાનના દર્શનનો લ્હાવો લીધો હતો. હું એક સામાન્ય દર્શનાર્થી તરીકે જ આવી પહોંચી હતી. જોકે, એ વાત સાચી છે કે વિરોધનો સામનો ન કરવો પડે તે માટે મેં મારા વાળને ગ્રે રંગમાં રંગી દીધા હતા અને એક વૃદ્ધા હોવાનો ઢોંગ કર્યો હતો. દર્શન દરમિયાન કોઈનું મારા તરફ ધ્યાન ગયું ન હતું. હું ભવિષ્યમાં પણ દર્શનનો લ્હાવો લેતી રહીશ.” પી મંજુ મહિલા દલિત ફેડરેશનની સક્રિય કાર્યકર છે.