ઉત્તર પ્રદેશના બુલંદશહરમાં ગૌહત્યાની આશંકામાં ભડેકલી હિંસા મામલામાં પોલીસ વધુ એક આરોપીને પકડી પાડ્યો છે. બુલંદશહર હિંસા મામલાના મુખ્ય આરોપી શિખર અગ્રવાલની પોલીસે ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ, શિખર અગ્રવાલ ભાજપ યૂથ વિંગ સાથે જોડાયેલો છે અને તે ઘટના બાદથી જ તે ફરાર હતો. બુલંદશહર મામલે શિખરની ધરપકડ યૂપીના હાપુડથી કરવામાં આવી છે. શિખર ઉપર હિંસા ભડકાવવાનો આરોપ છે.
આ પહેલા ઉત્તર પ્રદેશના બુલંદશહરમાં ગયા મહિને થયેલી હિંસા મામલે પોલીસે જણાવ્યું કે હિંસાના મામલામાં ૩૫ લોકોની ધરપકડ કરવામાં આવી છે. નોંધનીય છે કે, એક ગામમાં ગાયના અવશેષ મળ્યા બાદ ફેલાયેલી ગૌહત્યાની અફવા બાદ વિસ્તારમાં હિંસા ફેલાઈ ગઈ હતી. હિંસામાં ભીડે એક પોલીસ ઇન્સ્પેક્ટરની ગોળી મારી હત્યા કરી દીધી હતી. આ ઉપરાંત સુમિત નામના યુવકનું પણ ગોળી વાગવાથી મોત થયું હતું.
બીજી તરફ, પોલીસે ગત થોડા દિવસોમાં હિંસાના મુખ્ય આરોપી યોગેશ રાજની ધરપકડ કરી હતી. યોગેશ રાજને સ્યાના હિંસાનો મુખ્ય આરોપી બનાવવામાં આવ્યો હતો. તે બજરંગ દળનો જિલ્લો સંયોજક છે અને હિંસા બાદથી ફરાર હતો. મળતી માહિતી મુજબ, યોગેશ રાજની ધરપકડ નેતાઓના સહયોગ બાદ શક્ય બની હતી. યોગેશ રાજ પર હિંસા ભડકાવવાનો આરોપ છે અને પોલીસે તેને જ મુખ્ય આરોપી બનાવ્યો છે. યોગેશ રાજે જ ગૌહત્યા મામલાની ખોટી એફઆઈઆર નોંધાવી હતી.