કર્ણાટકમાં જેડીએસ અને કોંગ્રેસના સંબંધ સતત વણસી રહ્યાં હોય તેવુ દ્રષ્ટિગોચર થઇ રહ્યું છે. ગઠબંધન સરકારની આગેવાની લેનારા મુખ્યપ્રધાન એચડી કુમારસ્વામીએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે કર્ણાટકની સરકાર આગામી લોકસભા ચૂંટણી બાદ વધુ સમય સુધી સત્તા જાળવી શકશે નહીં.જેડીએસના ધારાસભ્યો અને એમએલસની બેઠકને સંબોધન કરતી વેળાએ કર્ણાટકના મુખ્યપ્રધાન કુમારસ્વામી ભાવુક થઇ ગયા. તેમણે કહ્યું કે તેઓ દરેક વાતમાં કોંગ્રેસના હસ્તક્ષેપને કારણે મુખ્યપ્રધાનની જેમ નહીં, પરંતુ એક ક્લાર્કની જેમ કામ કરી રહ્યાં છે.જેડીએસના કેટલાંક ધારાસભ્યોના જણાવ્યા મુજબ, કુમારસ્વામીએ ગઠબંધનની સરકાર બન્યા બાદ જેડીએસ સામે આવતી મુશ્કેલીઓ અંગે જણાવ્યું. ઉલ્લેખનીય છે કે ગયા મે મહિનામાં ભાજપને સત્તા પરથી હટાવવા માટે જેડીએસે કોંગ્રેસ સાથે હાથ મિલાવી લીધો હતો. કુમારસ્વામીએ કહ્યું કે, કોંગ્રેસના નેતા તેમની સાથે બધી પ્રક્રિયા કરાવવા માટે મજબૂર કરી રહ્યાં છે, જે તેમના પક્ષમાં છે અને તેને માનવા સિવાય તેમની પાસે કોઈ અન્ય વિકલ્પ પણ નથી. તેમણે જણાવ્યું કે તેઓ ખૂબ દબાણમાં કામ કરી રહ્યાં છે અને કોંગ્રેસના નેતા હંમેશા આશા રાખે છે કે કુમારસ્વામી તેમનુ કહેવાનુ માને.બેઠકમાં ઉપસ્થિત એક ધારાસભ્યએ કહ્યું, ‘તેઓ દુઃખી અને ભાવુક થયાં. અમને જણાવ્યું કે કોંગ્રેસ તેમની પર દબાણ બનાવી રહી છે અને દરેક પ્રકારના આદેશો પર હસ્તાક્ષર કરવા માટે મજબૂર કરી રહી છે. તેમને મંત્રીમંડળના વિસ્તાર માટે પણ મજબૂર કર્યા અને ત્યાં સુધી કે તેમની મંજૂરી વગર સરકાર નિયંત્રિત બોર્ડ અને નિગમો માટે અધ્યક્ષની નિમણુંક પણ કરી દીધી. ગુજરી રહેલા દિવસોની સાથે આ બધુ તેમના માટે વધુ કપરું બની રહ્યું છે.બેઠકમાં ઉપસ્થિત રહેલા જેડીએસ સુપ્રીમો અને પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાએ ધારાસભ્યોને આશ્વાસન આપ્યું છે કે તેઓ ગઠબંધનની વિરુદ્ધ કશુ કરશે નહી, જ્યાં સુધી સૌથી મહત્વપૂર્ણ સંસદ ચૂંટણી સમાપ્ત થાય નહીં. વધુમાં જણાવ્યું કે તેઓ કર્ણાટકથી ઓછામાં ઓછી અડધો ડઝન લોકસભા બેઠકો જીતવા પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યાં છે અને તેઓ કોઈ પણ અનિચ્છનીય પગલુ ઉઠાવીને પાર્ટીને મુશ્કેલીમાં મૂકવા માગતા નથી.