લોકસભા ચૂંટણીને આડે હવે થોડો સમય જ બાકી છે, આથી સંગઠન મજબૂત કરવાને બદલે કોંગ્રેસ પૂનરાવર્તન કરી રહી છે, દર વખતની જેમ આ વખતે પણ ચૂંટણી પહેલા કોંગ્રેસમાં વિખવાદ સપાટી પર આવ્યો છે. આ વખતે અલ્પેશ ઠાકોરે સ્વીકાર્યું કે પાર્ટીમાં તેની અવગણના થઇ રહી છે જેથી તેઓ નારાજ છે.ગુજરાત કોંગ્રેસ વર્ષોથી ચાલી આવતા જૂથવાદને કારણે બદનામ છે, આ વખતે યુવા નેતા અલ્પેશ ઠાકોરે નારાજગી વ્યક્ત કરી છે. અલ્પેશે કહ્યું કે મને હાંસિયામાં ધકેલી દેવામાં આવ્યો છે. પાર્ટીના નેતાઓ મારા હાથ તોડવામાં લાગ્યા છે. હું દિલ્હી જાવ છું અને અહમદ પટેલ અને રાજીવ સાતવને મળીને સમગ્ર હકિકત જણાવીશ. પત્રકારે જ્યારે અલ્પેશને પુછ્યું કે શું તમે અન્ય પાર્ટીમાં જોડાઇ જશો, તો જવાબમાં અલ્પેશે કહ્યું કે હાલ રાહ જોવી ઉચિત છે.ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના ઠાકોર અગ્રણીઓએ અલ્પેશ ઠાકોર સાથે બેઠક યોજી હતી.
અંદાજે એક કલાક જેટલી બંધબારણે ચાલેલી બેઠકમાં અલ્પેશની નારાજગી અંગે ચર્ચાઓ થઇ હતી. આ બેઠકમાં ભરતસિંહ સોલંકી, બળદેવજી ઠાકોર, અલ્પેશ ઠાકોર જગદિશ ઠાકોર સહિતના ટોચના નેતાઓ હાજર રહ્યાં હતા.બેઠક બાદ એવું લાગી રહ્યું છે કે અલ્પેશ ઠાકોરની નારાજગી દૂર થઇ નથી, તેઓ દિલ્હી જવા રવાના પણ થઇ ગયા છે, એવામાં આવનાર દિસવોમાં કોંગ્રેસના વધુ એક નેતા પક્ષ પલટો કરે તો નવાઇ નહીં, બીજી બાજુ હાલ ભાજપ-કોંગ્રેસ બંને એકબીજાના પક્ષ તૂટવાની વાતો કરી રહ્યાં છે.ગુજરાતના ઉપમુખ્યમંત્રી નીતિન પટેલે વિવાદાસ્પદ નિવેદન આપતા કોંગ્રેસ પર પ્રહાર કર્યો છે કે, કોંગ્રેસ લોકસભા ચૂંટણી પહેલા તૂટશે. નીતિન પટેલે કહ્યું કે, કોંગ્રેસમાં આંતરિક મતભેદ ચાલી રહ્યો છે. તેમના આ નિવેદન સામે કોંગ્રેસના ભરતસિંહ સોલંકીએ વળતો પ્રહાર કર્યો છે. ભરતસિંહે કહ્યું કે, કોંગ્રેસ નહીં ભાજપ તૂટવાના આરે છે. લોકસભામાં ભાજપ હાર ભાળી ગયાં છે તેથી તેમણે આવું નિવેદન આપી રહ્યું છે.