લોકસભાની ચૂંટણી નજીક આવતા દરેક પક્ષને ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર સૌથી પહેલા યાદ આવશે કારણ કે આ બન્ને રાજ્યો કોઈ પણ પક્ષની હારજીતમાં મહત્ત્વનો ભાગ ભજવી શકે છે. ઉત્તર પ્રદેશની ૮૦ બેઠક બાદ મહારાષ્ટ્રની ૫૮ બેઠક દેશમાં સૌથી વધારે છે. ૨૦૧૪માં ભાજપ-શિવસેના અને ઘટકપક્ષોને મહારાષ્ટ્રએ ૪૦ બેઠક આપી હતી, જે નિર્ણાયક સાબિત થઈ હતી. ફરી આવી જ સફળતા મળે તે માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ મહારાષ્ટ્રની મુલાકાતે આવવાના છે. વડા પ્રધાન નવ જાન્યુઆરીએ સોલાપુરની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે અમિત શાહ જાન્યુઆરીમાં ત્રણ વાર મહારાષ્ટ્રના લાતુર, સાંગલી અને નાગપુરની મુલાકાતે આવશે.
તાજેતરમાં યોજાયેલી પાંચ રાજ્યની ચૂંટણીના પરિણામો ભાજપ માટે સકારાત્મક નથી, પરંતુ ૨૦૧૪ બાદ મહારાષ્ટ્રમાં થયેલી ગ્રામ પંચાયતથી માંડી મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં ભાજપે સારો દેખાવ કર્યો છે, આથી મહારાષ્ટ્ર પર ભાજપે ધ્યાન કેન્દ્રીત કરવાનું નક્કી કર્યું છે. મોદીએ થોડા સમય પહેલા જ કલ્યાણ-પુણેની મુલાકાત લઈ લોકોને સંબોધ્યા હતા અને વિવિધ પ્રોજેક્ટ હાથ ધર્યા હતા. હવે મોદી સોલાપુર ખાતે આવી રહ્યા છે. મોદી લોકસભાની ચૂંટણી પહેલા સો સભા ગજાવવાના છે.
ભાજપના નેતાઓ મહારાષ્ટ્રની મુલાકાતે આવે ત્યારે શિવસેનાના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરે ફરી દુષ્કાળગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે જશે. તેઓ પણ નવ તારીખથી જ પોતાની ટૂર શરૂ કરશે અને મરાઠવાડા અને વિદર્ભની મુલાકાતે આવશે.
આગળની પોસ્ટ