કોંગ્રેસના નેતા અજય માકને દિલ્હી કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષપદેથી પોતાનું રાજીનામું આપી દીધું છે. અજય માકને આપ સાથે કોંગ્રેસના ગઠબંધનની અફવાઓ વચ્ચે દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષપદેથી રાજીનામું આપતાં અનેક રાજકીય તર્કવિતર્કો વહેતા થયા છે.અજય માકને આજે સવારે ટિ્વટ કરીને પોતાના રાજીનામાં કોંગ્રેસ કાર્યકરો અને પક્ષના અધ્યક્ષ રાહુલ ગાંધીનો આભાર વ્યકત કર્યો હતો. અજય માકને લખ્યું છે કે ર૦૧પની વિધાનસભા ચૂંટણી બાદ તેમને દિલ્હીના તમામ નેતાઓનો સહયોગ પ્રાપ્ત થયો હતો અને આવી કપરી પરિસ્થિતિમાં તેમના સહયોગ વગર કામ કરવું મુશ્કેલ હતું. આપ સૌનો આભાર.
આ અગાઉ અજય માકને દિલ્હીના પ્રભારી પી.સી.ચાકો સાથે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. અજય માકને રાજીનામા માટે પોતાની નાદુરસ્ત તબિયતને મુખ્ય કારણ તરીકે દર્શાવી છે. મીડિયા રિપોર્ટસમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે માકન પહેલાંથી જ કોંગ્રેસ અને આપના ગઠબંધનના વિરોધી હતા.માકનના રાજીનામા સાથે એવું માનવામાં આવી રહ્યું છે કે હવે લોકસભા ચૂંટણી માટે આપ અને કોંગ્રેસનું ગઠબંધન થઇ શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ત્રણ રાજ્યમાં કોંગ્રેસની સરકાર રચાયા બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક સમાન વિચારધારાના લોકોને સંગઠિત થવા અપીલ કરી હતી.અજય માકને ટિ્વટમાં રાહુલ ગાંધીનો ખાસ આભાર માનતા ટિ્વટ કર્યું છે કે રાહુલ ગાંધીજી દ્વારા મને અપાર સ્નેહ અને સહયોગ મળ્યો છે. આ કઠિન સ્થિતિમાં આ કામગીરી સરળ નહોતી. આ માટે હૃદયથી આભાર.
પાછલી પોસ્ટ