પંજાબ નેશનલ બેંક સહિત અનેક ભારતીય બેંકોના નાણા લઇને વિદેશ ભાગી જનારા હીરાના વેપારી નીરવ મોદી વિરુદ્ધ ઇડીએ વધુ એક કાર્યવાહી હાથ ધરી છે. ઇડીએ થાઇલેન્ડમાં નીરવ મોદીની ૧૩.૧૪ કરોડની સંપત્તિ સીલ કરી દીધી છે. નીરવ મોદી હાલ બ્રિટનમાં છે, બ્રિટિશ અધિકારીઓએ એક સપ્તાહ પહેલાં ભારતને જેની જાણકારી આપી હતી.તાજેતરમાં જ વિદેશ રાજ્યમંત્રી વી.કે. સિંહે રાજ્યસભામાં જણાવ્યું હતું કે, ઓગસ્ટ, ૨૦૧૮માં નીરવ મોદીને ભારતને સુપરત કરવા માટે સીબીઆઇ અને ઇડી દ્વારા બ્રિટનના અધિકારીઓને અનુરોધ કરવામાં આવ્યો હતો.ઇડીએ ગયા વર્ષે નવેમ્બરમાં નીરવ મોદીની દુબઇ સ્થિત ૫૬ કરોડથી વધુ કિંમતની ૧૧ સંપત્તિ ટાંચમાં લીધી હતી. જ્યારે ઓક્ટોબરમાં તપાસ એન્જસી દ્વારા નીરવ મોદી અને તેના પરિવારજનોની ૬૩૭ કરોડની સંપત્તિ ટાંચમાં લેવામાં આવી હતી. જેમાં તેના ન્યૂયોર્ક સેન્ટ્રલ પાર્ક સ્થિત બે એપાર્ટમેન્ટનો પણ સમાવેશ થાયછે.નીરવ મોદી અને તેના મામા મેહુલ ચોકસી સહિત અન્ય સામે પીએનબીની ફરિયાદ બાદ તપાસ ચાલી રહી છે. પીએનબીએ ફરિયાદમાં આક્ષેપ મૂક્યો છે કે, તેણે કેટલાક કર્મચારીઓ સાથેની સાંઠગાંઠની મદદથી બેંકને ૧૩૦૦૦ કરોડ રૂપિયાનો ચૂનો લગાડ્યો છે.