અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત વી.એસ. હોસ્પિટલમાં ૪૩ ટકાથી વધારે દર્દીઓમાં ડોક્ટર અને સ્ટાફના વર્તન સામે નારાજગી છે તો અન્ય કોર્પોરેશન સંચાલિત એલ.જી. હોસ્પિટલના દર્દીઓમાં ડોક્ટરોના વ્યવહાર પ્રત્યે કંઈકઅંશે સંતોષ જોવા મળી રહ્યો છે, પરંતુ આ હોસ્પિટલના દર્દીઓ પણ સ્ટાફના વર્તનથી ખફા છે.
તાજેતરમાં તંત્ર દ્વારા વિભિન્ન મ્યુનિસિપલ હોસ્પિટલો જેવી કે વી.એસ. હોસ્પિટલ, એલ.જી. હોસ્પિટલ, શારદાબહેન હોસ્પિટલ અને નગરી હોસ્પિટલમાં દર્દી તેમજ તેમના સગાંસંબંધીઓ પાસેથી હોસ્પિટલમાં પૂરી પડાતી સેવા અને સુવિધાના મામલે ‘કયુઆર કોડ’થી ફીડબેક મેળવાયો હતો. જેમાં રાજ્ય અને રાજસ્થાન, મધ્ય પ્રદેશ જેવાં પરરાજ્યમાં પણ પ્રતિષ્ઠિત એવી વી.એસ. હોસ્પિટલ માટે દર્દીઓ પાસેથી ચોંકાવનારું ફીડબેક સત્તાવાળાઓને મળ્યું હતું. વી.એસ. હોસ્પિટલના ડોક્ટર અને સ્ટાફની વર્તણૂકથી દર્દીઓમાં ભારે નારાજગી જોવા મળી હતી તેમજ દવા મળતી ન હોવા અંગે અને સ્વચ્છતાના મામલે પણ દર્દીઓમાં અસંતોષ હતો.
એલ.જી. હોસ્પિટલના ૩૯ ટકા દર્દીઓએ ડોક્ટરની વર્તણૂકની ભારે પ્રશંસા કરી છે. માત્ર ૩૦ ટકા દર્દીઓએ ડોક્ટરોની વર્તણૂક ખરાબ અથવા તો ઠીકઠાક લાગી છે, જોકે સ્ટાફની વર્તણૂકના મામલે ૨૪ ટકા દર્દીઓએ ‘ઝીરો’ રેન્કિંગ આપ્યું છે અને ૨૪ ટકા દર્દીને પણ સ્ટાફની વર્તણૂક ‘ઠીક’ લાગતાં ‘એક’નું રેન્કિંગ અપાયું છે. માત્ર ૨૦ ટકા દર્દીંનું ટોપ મોસ્ટ ‘પાંચ’નું એટલે કે સર્વશ્રેષ્ઠ રેન્કિંગ હોસ્પિટલના સ્ટાફને મળ્યું છે.
વી.એસ. હોસ્પિટલની જેમ એલ.જી. હોસ્પિટલમાં પણ લેબ અને રેડિયોલોજી તપાસની પ્રશંસા થઈ છે. ૯૨ ટકા દર્દીઓ આ સેવાથી ખુશખુશાલ છે. એલ.જી. હોસ્પિટલમાં વિભાગીય માહિતી સરળતાથી મળે છ તેમ ૬૮ ટકા દર્દીને લાગે છે.