સુપ્રીમ કોર્ટ દ્વારા કલમ ૩૭૭ને ગુનાની શ્રેણીમાંથી બહાર કર્યા બાદ હવે સમલૈંગિકતાના મામલા પ્રકાશમાં આવી રહ્યાં છે. તાજેતરનો મામલો ઉત્તર પ્રદેશના હમીરપુરનો છે, જ્યાં બે મહિલાઓ એકબીજાના પ્રેમમાં એટલી હદે પાગલ થઇ ગઇ કે બંનેએ પહેલા પોતાના પતિઓને છૂટાછેડા આપી દીધા અને પછી લગ્ન કર્યા.
મીડિયા રિપોર્ટ મુજબ, બંને મહિલાઓ પોતાના લગ્ન રજીસ્ટર કરાવવા માટે રજીસ્ટ્રાર ઑફિસ પહોંચી હતી, જ્યાં બંનેએ એકબીજા સાથે કરેલા ૭ વચનોનું એક એફિડેવિટ આપ્યું. જોકે, તેમના લગ્ન રજીસ્ટર્ડ થયા નથી. રજીસ્ટ્રારનું કહેવુ હતું કે સુપ્રીમ કોર્ટ દ્વારા સમલૈંગિક લગ્નને સામાજિક માન્યતા આપવા સાથે જોડાયેલો શાસનાદેશ હજી વિભાગમાં પહોંચ્યો નથી.બંને મહિલાઓએ એકબીજાને જે વચન આપ્યા છે, તેમાં પ્રથમ છે કે બંને કોઈ ખાનગી અથવા સરકારી સંસ્થામાં નોકરી કરશે અને તેના પર બેમાંથી કોઈ પણને વાંધો હોવો જોઈએ નહીં. બીજુ વચન છે કે કોઈ પણ પર પુરૂષ સાથે શારીરિક સંબંધ બનાવશે નહીં અને બાળકોને જન્મ આપવાની ઈચ્છા રાખશે નહીં. આવા તેમણે કુલ ૭ વચન આપ્યા છે, જેને નિભાવવા માટે તેમણે સોગંદ ખાધા છે.જાણકારી મુજબ, રાઠ ગામમાં રહેતી અભિલાષાએ પોતાને પતિ અને કધૌલી ગામમાં રહેતી દીપશિખાએ પોતાને પત્ની માનીને મંદિરમાં એકબીજા સાથે લગ્ન કર્યા. બંને મહિલાઓમાં એકની ઉંમર ૨૧ વર્ષ છે અને તેણી એક બાળકની માતા છે, જ્યારે બીજી મહિલાની ઉંમર ૨૧ વર્ષ છે.મીડિયામાં આવેલા અહેવાલ અનુસાર, બંને યુવતીઓની પ્રથમ મુલાકાત ૭ વર્ષ પહેલા ગામમાં થઇ હતી. ત્યારબાદ બંનેમાં મિત્રતા થઇ અને પછી આ મિત્રતા ધીરે-ધીરે પ્રેમમાં તબદીલ થઇ. જોકે, આ દરમ્યાન બંનેના અલગ-અલગ સ્થળો પર લગ્ન થયા અને તેઓ પોતાના સાસરે જતી રહી, પરંતુ બંનેમાંથી એક પણ યુવતીનું સાસરિયામાં મન લાગતુ નહતું. ત્યારબાદ બંનેએ પોત-પોતાના પતિઓને છૂટાછેડા આપી દીધા અને એકબીજા સાથે લગ્ન કરી લીધા.