નર્મદા જિલ્લામાં ખાસ કરીને ગરુડેશ્વર તાલુકામાં વિકાસની વણઝાર વચ્ચે પીસાતા આદિવાસીઓની હાલત કફોડી થઇ ગઈ છે. રાજય સરકાર ગામના લોકોને બહાર કાઢી બહારના લોકોને ગામમાં વસાવવાની નીતિ અપનાવી રહી હોવાનો આક્ષેપ સ્થાનિક આદિવાસીઓ લગાવી રહ્યા છે ત્યારે સરકાર હવે એક પણ ટુકડો જમીન ના લઇ શકે અને જે જમીનો લીધી છે તેનું કોમર્શિયલ વળતર આપે એવી માંગ સાથે ઠેર ઠેર ગરુડેશ્વર તાલુકાની ગ્રામ પંચાયતોમાં ઠરાવો થઇ રહ્યા છે. જે આદિવાસીને હક્ક આપવાના અને સરકારી નીતિનો પણ ગ્રામ પંચાયતમાં વિરોધ નોંધાઈ રહ્યો છે. આદિવાસીઓ દ્વારા આગામી દિવસોમાં સરકારના વિરોધમાં જોરદાર આશ્ચર્યજનક કાર્યક્રમો આપવામાં આવનાર છે. જેમાં તા.૮મી જાન્યુઆરીએ કેવડિયા ખાતે યોજાનારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં સેંકડો આદિવાસીઓ કાળા પતંગ ચગાવી ભાજપ સરકાર સામે પોતાનો ઉગ્ર વિરોધ પ્રદર્શિત કરશે. તાજેતરમાં ગરુડેશ્વર તાલુકાના વાગડિયા ગામે પ્રાથમિક શાળામાં ગ્રામસભા યોજાઈ હતી. જેમાં તલાટી રજનીશ તડવી, સરપંચ ગોવિંદ તડવી, શૈલેષ તડવી સહીતના આગેવાનો પોતાના ગામના હકો માટે ૨૨ જેટલા ઠરાવો કરી ગ્રામસભામાં રજુ કર્યા હતા, એ ઠરાવોની તલાટીએ નોંધ પણ કરી હતી. જો સરકાર સ્વતંત્ર સ્થાનિક સ્વરાજ્ય ગ્રામ પંચાયતોના આ ઠરાવો કેટલે અંશે મંજુર રાખે છે તેની પર સૌની નજર મંડાઇ છે. સાથે સાથે નર્મદા જિલ્લાના આદિવાસીઓના ગામોમાં સરકાર સામે લડવાની તાકાત માટે કાળી પતંગો ચગાવીને વિરોધ કરવાનું પણ નક્કી કરાતા કેવડિયા ખાતે તા.૮મી જાન્યુઆરીએ યોજાનાર આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ અને ઉત્તરાયણ પર તમામ ગરુડેશ્વર તાલુકાના ગામો ૧૦ હજારથી વધુ કાળી પતંગો ચગાવી સરકારનો વિરોધ કરશે. આ મામલે વાગડિયા ગામના આદિવાસી અગ્રણી શૈલેષ તડવીએ જણાવ્યું હતું કે, સરકાર અમારા આદિવાસીઓની જમીનો સંપાદિત કરી સામાન્ય ટોકન ભાવે લોકોને આપે છે અને તે લોકો એનો વ્યાપાર કરે છે. સરકારે છ ગામોની માત્ર ૭૦૦ એકર જમીન એક્વાયર કરી છે. જો કે, ૨૭૦૦ એકર જમીન સંપાદિત વગરની છે. જેથી સરકાર આ જમીન નિહાર હાટેલ, એસઆરપી અને સ્વામિનારાયણ સંસ્થા ટોકને આપી હવે એ લોકો એને ગેસ્ટ હાઉસ, હોટેલ બનાવી લોકો પાસેથી કમાણી કરે છે ત્યારે આ જમીનો પરત આપી દો, કેમ કે નથી તેનું કોઈએ વળતર લીધું કે નથી જમીનનો કબ્જો છોડ્યો. જેથી અમારી જમીનો અમને આપો અને ગ્રામ પંચાયતની મંજૂરી વગર કોઈ વિકાસનું કામ કરી શકાશે નહીં એવી માંગ સાથે અમે ૨૨ ઠરાવો કર્યા છે. આગામી દિવસોમાં આદિવાસીઓ દ્વારા રાજયવ્યાપી વિરોધના કાર્યક્રમો અપાશે.