વીએસ હોસ્પિટલને બચાવવાની માંગણી સાથે ગઇકાલે કોંગ્રેસ પક્ષ દ્વારા અમ્યુકોની દાણાપીઠ કચેરી ખાતે કરાયેલા ધરણાં-દેખાવો અને મ્યુનિસિપલ કચેરીમાં કરાયેલી તોડફોડના પ્રકરણમાં મ્યુનિસિપલ સત્તાવાળાઓ તરફથી આખરે શહેરના કારંજ પોલીસમથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. અમ્યુકો સત્તાધીશો તરફથી કોંગ્રેસના બે ધારાસભ્યો ગ્યાસુદ્દીન શેખ અને ઇમરાન ખેડાવાલા સહિત ૨૫ જણાં વિરૂધ્ધ ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે. પોલીસે હવે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત વીએસ હોસ્પિટલની હાલની ૧૧પપ પથારી ઘટાડીને પ૦૦ પથારી સુધી સીમિત કરી દેવાના શાસક ભાજપના નિર્ણયથી ભારે વિવાદ સર્જાયો છે. ગઇકાલે સાંજે વીએસ હોસ્પિટલને બચાવવાની માંગ સાથે કોંગ્રેસ દ્વારા મ્યુનિસિપલ મુખ્યાલય ખાતે કરાયેલા ઉગ્ર વિરોધ પ્રદર્શન દરમિયાન તંત્રની મિલકતનેે નુકસાન પહોંચાડવાના આરોપસર મ્યુનિસિપલ સત્તાવાળાઓ દ્વારા કારંજ પોલીસ સ્ટેશનમાં કોંગ્રેસના બે ધારાસભ્ય, શહેર કોંગ્રેસ પ્રમુખ અને વિપક્ષ કોંગ્રેસના પૂર્વ નેતા સહિત રપ વ્યકિતઓ સામે ફરિયાદ નોંધાવાઇ હતી. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સિક્યોરિટી ઓફિસર તરીકે ફરજ બજાવતા પાઉલ વસાવા દ્વારા ગઇકાલે રાતના ૧૦-૩૦ વાગ્યાના સુમારે કારંજ પોલીસ સ્ટેશનમાં કોંગ્રેસના ધારાસભ્યો ગ્યાસુદ્દીન શેખ અને ઇમરાન ખેડાવાલા, શહેર કોંગ્રેસ પ્રમુખ શશિકાંત પટેલ, મ્યુનિસિપલ કોંગ્રેસના પૂર્વ નેતા બદરુદ્દીન શેખ તેમજ પંકજભાઇ સહિતના કુલ રપ લોકો સામે તંત્રની મિલકતોને નુકસાન પહોંચાડવા બદલ ફરિયાદ નોંધાવાઇ હતી. મ્યુનિસિપલ તંત્રની ફરિયાદ મુજબ ગઇકાલે સાંજના મ્યુનિસિપલ મુખ્યાલય બહારના પરિસરમાં કોંગ્રેસની બાઇક રેલી સભાના રૂપમાં પરિવર્તિત થયા બાદ કોંગ્રેસના ઉગ્ર પ્રદર્શન દરમિયાન મુખ્યાલયના ગેટ નં.૧નું તાળું તોડી નખાયું હતું તેમજ ગેટ નં.રને હચમચાવી નાખતાં તેની રેલિંગને નુુકસાન થયું હતું. ત્યારબાદ આ લોકો સી-બ્લોકના ભોંયતળિયાની જાળીનું તાળું તોડીને અંદર ઘૂસી આવ્યા હતા તેમજ કમિશનર ઓફિસની બહાર ઉગ્ર સૂત્રોચ્ચાર દરમિયાન તોફાની તત્ત્વોએ કમિશનરના પીએની ઓફિસના દરવાજા તેમજ મુલાકાતીઓની બહારની બેઠકવ્યવસ્થાના ફર્નિચરને તોડફોડ કરીને હાનિ પહોંચાડી હતી.
આશરે રૂ.૯ લાખની કિંમતની સંપત્તિને થયેલા નુકસાન બદલ તંત્ર દ્વારા તોફાની તત્ત્વો સામે કારંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરાઇ હતી. આ અંગે પાઉલ વસાવાને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, મ્યુનિસિપલ ઓફિસમાં બળજબરીથી ઘૂસીને તેની મિલકતને નુકસાન કરવા બદલનો ગુનો આ લોકો વિરુદ્ધ નોંધાયો છે, જોકે કોંગ્રેસના બે ધારાસભ્ય હિંમતસિંહ પટેલ અને શૈલેશભાઇ પરમાર પાછળથી આવ્યા હોઇ તેમની સામે કોઇ ફરિયાદ નોંધાઇ નથી.
પાછલી પોસ્ટ