Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદના ચાંગોદરમાં નેપાળી યુવકની ઢોર માર મારીને હત્યા

અમદાવાદના ચાંગોદરમાં નેપાળી યુવકની ઢોર માર મારીને હત્યા કરી દેવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. ઘટનાનો એક વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં કેટલાક શખસો યુવકને ઢોર માર મારી રહ્યા છે. 19 માર્ચે ફરિયાદ નોંધાયા બાદ વિડીયો વાયરલ થતાં પોલીસે આ કેસમાં ગુનો દાખલ કરીને 10 જેટલા લોકોની ધરપકડ કરીને પૂછપરછ હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર યુવકને ચોર સમજીને સ્થાનિકોએ લાકડી સહિતના હથિયારો લઈને તૂટી પડ્યા હતા. ગંભીર ઈજા પહોંચાડ્યા બાદ યુવકને અધમરી હાલતમાં કેનાલમાં ફેંકીને જતા રહ્યા હતા. ગતરોજ પોલીસને માહિતી મળી હતી કે, કેનાલમાં એક યુવકની લાશ પડી છે. જેથી ચાંગોદર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મીડિયા રિપોર્ટ અનુસાર નેપાળથી એક યુવક થોડા દિવસો પહેલા રોજગારી માટે અમદાવાદ આવ્યો હતો અને ચાંગોદર વિસ્તારમાં કામ શોધી રહ્યો હતો અને તે નોકરી મેળવવામાં સફળ થઈ ગયો. મોડીરાતે તે નોકરી પરથી પરત આવી રહ્યો હતો ત્યારે જીવણપુરા ગામ પાસે કૂતરાં તેને જોઈને ભસવા લાગ્યા. જેથી યુવક ડરીને દોડતો દોડતો એક ઘરમાં જઈને સંતાઈ ગયો હતો. આ દરમિયાન ઘરના સભ્યોએ તેને પકડીને પૂછપરછ કરતા તે તેની જ ભાષામાં જવાબ આપવા લાગ્યો હતો. જેથી બધા તેને ચોર સમજવા લાગ્યા અને ગામના લોકોને ભેગા કરી દીધા અને બેફામ ફટકારવાનું ચાલુ કરી દીધું હતું.

ગ્રામજનોએ નેપાળી યુવકને એટલી હદે માર માર્યો કે, ગંભીર ઈજાઓને કારણે તે બેભાન થઈને ઢળી પડ્યો. જેથી લોકો તેને તાત્કાલિક રીક્ષામાં હોસ્પિટલ લઈ જવા લાગ્યા, પરંતુ રસ્તામાં જ તેનું મોત નીપજતા બધા ડરી ગયા અને ભરાઈ ન જાય માટે લાશને કેનાલમાં ફેંકીને પોતપોતાના ઘરે જઈને સૂઈ ગયા હતા. ચાંગોદર પોલીસમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર બીજા દિવસે યુવકની લાશ મળવાનો ફોન આવતા ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને લાશને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલીને તેની ઓળખ અંગે તપાસ હાથ ધરી હતી. જો કે, હજી સુધી યુવક અંગે કોઈ ચોક્કસ માહિતી ન મળી હોવાના અહેવાલ છે.

આ સમગ્ર કેસ અંગે અમદાવાદ જિલ્લા પોલીસવડા અમિત વસાવાએ જણાવ્યું હતું કે હાલ 10 જેટલા લોકોને પકડીને તેમના મોબાઈલ પણ કબજે લેવામાં આવ્યા છે અને અન્ય લોકોની પણ શોધખોળ ચાલી રહી છે. બધા પકડાયા બાદ તમામની સામે કાર્યવાહી કરવામાં આવશે.

Related posts

ભાજપના સ્થાપના દિન 6 એપ્રિલથી 25 એપ્રિલ દરમિયાન ગુજરાતભરમાં યાત્રા યોજાશે

aapnugujarat

સરખેજ નજીકથી પકડાયેલા શખ્સની પૂછપરછ કરતાં ચરસ કેસનો મુખ્ય આરોપી ઝડપાયો

aapnugujarat

બાવળા APMCના ચૈરમેન હરિભાઈ ડાભીએ સરકાર સમક્ષ કટલીક માંગ કરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1