ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પક્ષ (ભાજપ)ની સરકાર જીવતા માનવી કરતા ગૌમાતાનું ધ્યાન રાખવા વધારે પ્રયાસો કરે છે, તેવા વિપક્ષોના આક્ષેપો વચ્ચે મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે સંબંધિત અધિકારીઓને રઝળતી ગાયોની બરાબર સારસંભાળ રાખવા તાત્કાલિક વ્યવસ્થા કરવાના અધિકારીઓને નિર્દેશ આપ્યા છે. આ ઉપરાંત તેમણે ઉત્તર પ્રદેશમાં ગાયોને ચરવાના મેદાનો આક્રમણકારીઓથી એકદમ સાફ કરવાના આદેશ આપ્યા છે. તેમણે વરિષ્ઠ અધિકારીઓ સાથેની મિટિંગમાં તેમને કહ્યું હતું કે રખડતી ગાયોને બહેતર આશરો દેવા માટે સમિતિ ઘડવામાં આવે. તેમણે ચીફ સેક્રેટરી અનુપચંદ પાંડેને નિર્દેશ આપ્યા છે કે એક સપ્તાહમાં જ આ બાબત અંગે ભલામણો રજૂ કરવામાં આવે.
અત્રે બહાર પાડવામાં આવેલી સત્તાવાર યાદી અનુસાર આદિત્યનાથે કહ્યું હતું કે ઢોરઢાંખરને ચરવાની જમીન પર અતિક્રમણના કેસમાં તેમને હાંકી કાઢનારની સામે તાબડતોબ પગલાં લેવામાં આવશે. આરોપીઓની સામે કડક પગલાં લેવામાં આવશે.
જિલ્લા પંચાયત સ્તરે ૭૫૦ ગૌરક્ષા કેન્દ્રોને સક્રીય બનાવવાનું તેમણે જણાવ્યું હતું. ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં ગાય, બળદો માટેના સ્થળે યોગ્ય ઘાસચારો, તબેલા તેમ જ પીવાના જળની સગવડો આપવી જ જોઈએ.
ઉત્તર પ્રદેશ રાજ્ય સરકારે ૧૬ સુધરાઈ નિગમને રઝળતી ગાય માતા માટે આશ્રય કેન્દ્ર બનાવવા પ્રત્યેકને ૧૦ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. જ્યારે દરેકે દરેક જિલ્લામાં ગૌશાળાની સ્થાપના કરવા માટે પ્રત્યેક જિલ્લાને ૧.૨ કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે.