રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (આરએસએસ) સમર્થિત અખબાર ’તરુણ ભારત’માં એક લેખ મારફત શિવસેના ઉપર જબરદસ્ત વાક્બાણ છોડવામાં આવ્યા છે. બુધવારે પ્રકશિત થયેલા આ લેખમાં પૂછવામાં આવ્યું છે કે, ’ચોકીદાર ચોર છે’ નો નારો લગાવીને વડાપ્રધાન ઉપર નિશાન સાધનારી ઉદ્ધવ ઠાકરેની પાર્ટી શિવસેના ગઠબંધનની સરકારમાંથી હતી કેમ નથી જતી ?આ લેખમાં કહેવાયું છે કે, શિવસેના મહારાષ્ટ્ર અને કેન્દ્રમાં ભાજપના નેતૃત્વવાળી ગઠબંધન સરકારમાં ભાગીદાર હોવા છતાં ભાજપની સતત ટીકા કર્યા કરે છે. આ અખબારના તંત્રીલેખમાં લખવામાં આવ્યું છે કે, ’ચોકીદાર ચોર છે’ નો નારો આપીને ઠાકરે સ્વયંને અને તેની પાર્ટીઓના મંત્રીઓને ચોર કહી રહ્યા છે. જો શિવસેનાને એવું લાગે જ છે કે, ’ચોકીદાર ચોર છે તો જોડાણ શા માટે નથી તોડી નાખતી શિવસેના ?’
આ લેખમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, શિવસેના પાસે સત્તા છોડવાનો ઈરાદો પણ નથી અને નથી એવું કશું’ય કરવાની હિમ્મત! આજની શિવસેના અને બાળાસાહેબ ઠાકરેની શિવસેનામાં ભારે અંતર છે.
આ લેખમાં દાવો કરવામાં આવ્યો છે કે જે રીતે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ ’ચોર’ શબ્દનો ઉપયોગ કરીને વડાપ્રધાનનું અપમાન કરી તેમની અનુભવહીનતા દર્શાવી છે, લગભગ તે જ રીતે ઠાકરે દ્વારા પણ આ નારાનો ઉપયોગ કરીને તેમની અનુભવહીનતાનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. આ તંત્રીલેખમાં એ પણ સવાલ ઉઠાવવામાં આવ્યા છે કે શિવસેનાને અચાનક જ વળી ’રામમંદિર’ નો મુદ્દો ઉઠાવવાની શી જરૂર પડી ?
આ લેખાંક અનુસાર શિવસેના ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીથી ડરી ગઈ હોય તેવું લાગે છે. શિવસેના એવું માનવાને તૈયાર જ નથી કે, ગઠબંધનમાં નાનોભાઇ (ભાજપ) હવે મોટો ભાઈ બની ગયો છે ! વળી, શિવસેનાનો એ ભ્રમ છે કે, તે રામમંદિરનો મુદ્દો આગળ ધરીને સત્તામાં આવી શકશે.શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ સોમવારે એક રેલીમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના નારાનો ઉપયોગ કરીને વડાપ્રધાન મોદી ઉપર હુમલો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, રાફેલ સોદા મામલે રાહુલ ગાંધીએ વડાપ્રધાનને ’ચોકીદાર ચોર છે’ કહીને ઘેર્યા હતા. ઠાકરેએ પણ આજ નારાનો ઉપયોગ કર્યો હતો.