વિશ્વમાં ખ્રિસ્તી સમુદાય ક્રિસમસની ઉજવણી કરી રહ્યો છે. પરંતુ ચીનમાં એક વર્ષથી પ્રેસિડન્ટ શી જિનપિંગની સરકાર અનેક ગેરકાયદે ચર્ચ વિરૂદ્ધ અભિયાન ચલાવી રહી છે. ક્રિસમસના અઠવાડિયામાં આ અભિયાન વધુ તેજ કરી દેવામાં આવ્યું છે. જેની અસર અહીંના અંદાજિત ત્રણ કરોડ ખ્રિસ્તીઓ ઉપર જોવા મળી રહી છે. ન્યૂયોર્ક ટાઇમ્સના રિપોર્ટ અનુસાર, આ અભિયાન છતાં અહીંના ખ્રિસ્તીઓનું કહેવું છે કે, તેઓ પોતાનો ધર્મ નહીં છોડે.
ઉલ્લેખનીય છે કે, ચીનમાં જ્યારથી શી જિનપિંગ મજબૂત થયા છે, ત્યારથી દેશમાં અન્ય ધર્મો વિરૂદ્ધ ઝૂંબેશને બળ મળ્યું છે. ૨૦૧૪ અને ૨૦૧૬ની વચ્ચે સરકારના આદેશથી ચર્ચમાં ૧૫૦૦થી વધુ ક્રોસ હટાવવામાં આવ્યા છે. પોલીસે પોસ્ટર ચોંટાડીને ખ્રિસ્તીઓને ચેતવણી આપી છે કે, તેઓ લોકોને ભડકાવવાનું કામ ના કરે. કાયદાનું ઉલ્લંઘન કર્યુ તો કડક સજા મળશે. ચીનમાં કાયદાનું ઉલ્લંઘન કરવા પર પાંચ વર્ષ જેલની સજાની જોગવાઇ છે.
રિપોર્ટ અનુસાર, જિનપિંગ એ વાતને લઇને ચિંતિત છે કે, સ્વતંત્ર પૂજા-અર્ચનાની છૂટ આપવાથી ચીનના રોજિંદા જીવનથી કોમ્યુનિસ્ટ સરકારનું આધિપત્ય કમજોર પડી શકે છે. જિનપિંગ ખ્રિસ્તીઓ પર પોતાની પાર્ટીની પકડ વધુ મજબૂત બનાવવા ઇચ્છે છે.
ચીનના માનવાધિકાર સંરક્ષણ સંસ્થાની ડાયરેક્ટર રિની શિયાએ કહ્યું કે, ચીન સરકારના આ પ્રયત્નો અંડરગ્રાઉન્ડ ક્રિશ્ચિયન વિરોધને નિશાન બનાવવા માટે છે. આ એવો વિરોધ છે જેમાં સામાજિક ન્યાય જેવા વિચારોને મહત્વ આપવામાં આવે છે અને આ કોમ્યુનિસ્ટ પાર્ટીની પકડ માટે પડકાર છે. પાર્ટીમાં અનેક લોકોનું માનવું છે કે, ચીનમાં ખ્રિસ્તી ધર્મ સૌથી ઝડપી વધી રહ્યો છે.
પાછલી પોસ્ટ