જનતા દળ સેક્યુલરના એક નેતા પ્રકાશની હત્યા બાદ હત્યારાઓને શોધીને નિર્મમતાથી ગોળીબાર કરીને મારી નાખવાના નિવેદન પછી કર્ણાટકના મુખ્યમંત્રી કુમારસ્વામી વિવાદમાં ઘેરાયા હતા. હવે તેમણે પાતાને ભાવુક વ્યક્તિ ગણાવીને નિવેદન અંગે પોતાનો બચાવ કરવાના પ્રયત્ન કર્યા હતા. નોંધનીય છે કે, મંગળવારે એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં કુમારસ્વામી તેમની પાર્ટીના એક નેતાની હત્યાના આરોપીઓને શૂટઆઉટ કરીને મારી નાખવાનું કહેતા સાંભળવા મળે છે.પોતાના આ નિવેદન બાદ વિવાદ થયા પછી બુધવારે કુમારસ્વામીએ કહ્યું હતું, ‘આ કોઈ મોટો મુદ્દો નથી. એવા સમયમાં માનવીય વ્યવહાર એવો જ હોય છે. આવી સ્થિતિમાં કોઈપણ માણસ આવું જ વર્તન કરશે. મેં અગાઉ પણ આ અંગે ખુલાસો કર્યો હતો. હું ભાવુક માણસ છું એટલે એવા શબ્દો બોલ્યો હતો.વાયરલ વીડિયોમાં કુમારસ્વામી ફોન પર કોઈને કહી રહ્યા હતા, એ (જેડીએસ નેતા પ્રકાશ) સારા માણસ હતા. હું જાણતો નથી કે એ લોકોએ તેમની હત્યા કેમ કરી. શૂટઆઉટમાં નિર્મમતાથી તેમને (આરોપીઓને) મારી નાખો. આ વીડિયો સામે આવતા જ વિપક્ષી નેતાઓએ કુમારસ્વામી પર પ્રહારો શરૂ કરી દીધા હતા. કુમારસ્વામીએ આ મામલે બીજુ નિવેદન આપ્યું હતું કે, હું ભાવુક માણસ છું. આ મારો આદેશ નહોતો.
પાછલી પોસ્ટ