લોકસભા ચૂંટણી ૨૦૧૯ની તૈયારીઓ અત્યારથી જ શરૂ થઈ ગઈ છે. એકબાજુ કોંગ્રેસની સાથે કેટલાક વિરોધ પક્ષો મહાગઠબંધન બનાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે, જ્યારે અન્ય કેટલાક વિરોધ પક્ષો કોંગ્રેસ અને ભાજપ સિવાયના અન્ય સ્થાનિક પક્ષોને એકઠા કરવા મથી રહ્યા છે.
આ તમામની વચ્ચે ભાજપ અને કોંગ્રેસ વગરનો એક ત્રીજો મોરચો બનાવવાના પોતાના મિશન સાથે તેલંગાણા રાષ્ટ્ર સમિતિના અધ્યક્ષ અને તેલંગાણાના વર્તમાન મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવ દિલ્હી પહોંચી ગયા છે.
કેસીઆર દિલ્હી પહોંચતાપહેલાં સોમવારે કોલકાતામાં તૃણમુલ કોંગ્રેસના અધ્યક્ષ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી સાથે મુલાકાત કરી ચૂક્યા છે. તેના પહેલા તેઓ રવિવારે ઓડિશાના મુખ્યમંત્રી અને બીજુ જનતા દલના અધ્યક્ષ નવીન પટનાયકને પણ મળીને આવ્યા હતા. હવે, દિલ્હીમાં તેમની એસપી, બીએસપી સહિત સમાન વિચારધારા ધરાવતા નેતાઓ સાથે મુલાકાત થાય એવી સંભાવના છે.
ટીઆરએસના સુત્રોએ સોમવારે રાત્રે ત્રણ દિવસના દિલ્હીના પ્રવાસે પહોંચેલા કેસીઆરની એસપી અધ્યક્ષ અખિલેશ યાદવ અને બીએસપી પ્રમુખ માયાવતી સાથે મુલાકાતની સંભાવનાનો ઈનકાર કર્યો નથી. જોકે, મંગળવારે તેમની અખિલેશ અને માયાવતી સાથેની મુલાકાત વચ્ચે બંને પક્ષ તરફથી જણાવાયું છે કે, કેસીઆરે આવો કોઈ સમય માગ્યો નથી.
પાછલી પોસ્ટ