Aapnu Gujarat
Uncategorized

માલગાડીની હડફેટે આવતા ત્રણ સિંહોના મોત

અમરેલી જિલ્લાના સાવરકુંડલામા બોરાળા ગામના ફાટક પાસે આજે વહેલી પરોઢ પહેલાં માલગાડીની હડફેટે ત્રણ સિંહના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવાની સાથે સાથે અરેરાટીની લાગણી પ્રસરી ગઇ હતી. ત્રણ સિંહોના રેલ્વે અકસ્માતમાં મોત નીપજવાની ઘટનાના સમાચાર મળતાં જ વનવિભાગના અધિકારીઓ અને સ્થાનિક પોલીસના અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હતી. થોડા સમય પહેલાં પણ અન્ય જંગલ પંથક નજીકના વિસ્તારમાંથી પસાર થતી રેલ્વે લાઇન પર ટ્રેનની હડફેટે સિંહ અને હાઇવે પરથી પસાર થતી વખતે વાહનોની હડફેટે દિપડાના મોતની ઘટનાઓએ ભારે ચકચાર જગાવી હતી, ત્યારે આજે વધુ ત્રણ સિંહોના માલગાડીની ટક્કરથી કપાઇને મૃત્યુ નીપજવાની ઘટનાએ વન્ય પ્રેમી જનતા ખાસ કરીને સિંહપ્રેમી લોકોમાં ભારે આઘાત અને શોકની લાગણી જન્માવી હતી. ગીર પંથક અને તેની આસપાસના વિસ્તારના પંથકોમાં છેલ્લા કેટલાક મહિનાઓથી એક પછી એક સિંહો, સિંહણ અને સિંહબાળના મોતની ઘટનાઓ છાશવારે સામે આવતી રહે છે, જેને લઇ રાજયના વનવિભાગના અધિકારીઓ, સ્થાનિક પોલીસ તંત્રની સાથે સાથે સરકારી તંત્ર સામે પણ ગંભીર સવાલો ઉઠયા છે પરંતુ તેમછતાં હજુ સિંહોના મોતનો સિલસિલો અટકવાનું નામ નથી લેતો. કોઇક ને કોઇક કારણસર સિંહોના એક પછી એક મોત સામે આવી રહ્યા છે. સાવરકુંડલામા બોરાળા ગામના ફાટક પાસે આજે વહેલી પરોઢ પહેલાં માલગાડીની હડફેટે ત્રણ સિંહના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજયા હોવાનું આજે સામે આવતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી. ટ્રેનની હડફેટે આવી જવાથી સિંહના શરીરના કટકે કટકા થઇ ગયા હતા. સિંહના અંગો વિચ્છેદ થઇ ગયા હતા અને વિખરાયેલા પડયા હતા. સમગ્ર બનાવની જાણ થતાં જ સ્થાનિક વન વિભાગનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહોને કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી હતી. આ સમગ્ર બનાવ અંગે જૂનાગઢ સીસીએફએ જણાવ્યું હતું કે, રાતના ૧૨.૪૫ વાગ્યાનો બનાવ છે. બોટાદથી માલગાડી પીપાવાવ જઇ રહી હતી ત્યારે બોરાળા ફાટક પાસે રેલવે ટ્રેક પર છ સિંહો ચાલી રહ્યા હતા. જેમાં ત્રણ હડફેટે આવી જતા ત્રણેયના મોત નીપજ્યા હતા. મોતને ભેટેલા ત્રણ સિંહોમાં બે દોઢથી બે વર્ષના બે સિંહ અને એક દોઢ વર્ષની સિંહણનો સમાવેશ થાય છે. ટ્રેનની સ્પીડ કેટલી હતી તે અંગે તપાસ ચાલુ છે. આમાં જે કોઇ પણ દોષિત સાબિત થશે તેની સામે કડક પગલા લેવામાં આવશે. બીજીબાજુ, વન્ય પ્રેમીઓ ખાસ કરીને સિંહપ્રેમીઓએ સિંહોના આ મોતને લઇ સ્થાનિક વનવિભાગ અને રેલ્વે તંત્ર સામે પણ સવાલ ઉઠાવ્યા છે. સિંહો તો જંગલનો રાજા છે અને તે તેના વિસ્તારમાં તેની મરજી મુજબ આવ-જા કરવા અને હરવા-ફરવા સ્વતંત્ર છે, માણસે તેની સુવિધા માટે જંગલ અને ગ્રામ્ય વિસ્તારમાંથી રેલ્વે લાઇન નાંખી છે પરંતુ ટ્રેનના ડ્રાઇવરે ટ્રેન ચલાવતી વખતે શું ધ્યાન રાખ્યું અને જો રેલ્વે લાઇન પર સિંહ ચાલતા જોયા હોય તો ટ્રેન કેમ ધીમી પાડી તેઓને હટાવવાનો પ્રયાસ ના કરાયો. આમ નથી થયું તે સ્પષ્ટ કરે છે કે, ટ્રેનના ડ્રાઇવરે ટ્રેન ધીમી પાડવાના બદલે કે રોકવાના બદલે સિંહો પરથી પૂરપાટ ઝડપે ટ્રેન પસાર કરી હોઇ શકે, તો જ એકસાથે ત્રણ નિર્દોષ સિંહો કચડાઇને મૃત્યુ પામ્યા. સિંહ પ્રેમી જનતાએ આ સમગ્ર મામલે ન્યાયિક તપાસની માંગણી કરી છે.

Related posts

ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાંચે તમંચા સાથે શખ્સને પકડ્યો

editor

હવે લડાખમાં ચીની જવાનોના ઘુસણખોરીના પ્રયાસો નિષ્ફળ

aapnugujarat

“શ્રી સરસ્વતી શિક્ષણ મહાવિદ્યાલય”નો ભૂતવડ ખાતે થયો શુભારંભ

editor

Leave a Comment

UA-96247877-1