નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે જણાવ્યું છે કે, રાજયના કિસાનોને મદદરૂપ થવુ એ રાજય સરકારની પ્રાથમિકતા રહી છે ત્યારે બટાટા પકવતા ખેડુતોને ટ્રાન્સપોર્ટના ખર્ચમાં સહાય આપવાનો રાજય સરકારે નિર્ણય કર્યો હતો. આ વર્ષે પણ રાજયમાં બટાટાનું મબલખ ઉત્પાદન થતાં આ સબસિડી ૧૫મી જુન, ૨૦૧૭ સુધી ચુકવવામાં આવશે. નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, કિસાનોને આર્થિક રીતે સધ્ધર કરવા મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારે અનેકવિધ કિસાનલક્ષી નિર્ણયો કર્યા છે ત્યારે બટાટાના વિપુલ ઉત્પાદનથી નિકાસમાં પણ સહાય થવા આ મહત્વનો નિર્ણય કરાયો છે. બટાટાની નિકાસ જો ખેડુતો રોડ ટ્રાન્સપોર્ટથી કરશે તો ૭૫૦ પ્રતિ મેટ્રીક ટન, રેલ્વે દ્વારા કરશે તો ૧૧૫૦ પ્રતિ મેટ્રીક ટન તથા દેશ બહાર નિકાસ કરવામાં આવે તો કુલ વાહતુક ખર્ચના ૨૫ ટકા અને વધુમાં વધુ ૧૦ લાખની મર્યાદામાં પ્રતિ ખેડુત દીઠ સહાય આપવામાં આવશે. તેમણે ઉમેર્યું કે, હાલ બટાટાના ભાવો નીચા છે ત્યારે ખેડુતોને ટ્રાન્સપોર્ટશનની સુવિધામાં મદદરૂપ થવા આ નિર્ણય કરાયો છે. ખેડુતોને યોગ્ય ભાવ મળી રહે તે માટે ઉત્પાદીત વધારાના જથ્થાને બહાર મોકલવા સુવિધા અપાશે.
આગળની પોસ્ટ