ડુંગળીનું વાવેતર આ વર્ષે ઓછું થતા ડુંગળી આ વર્ષે ગ્રાહકોને રડાવી શકે છે. આ વર્ષે ૩ ડિસેમ્બર સુધીમાં સરેરાશ ૧૨,૧૯૧ હેક્ટરમાં અથવા ગયા વર્ષની સરખામણીમાં ૫૦ ટકા વિસ્તારમાં જ ડુંગળીનું વાવેતર થયું છે. ૨૦૧૭માં ૩ ડિસેમ્બર સુધીમાં રાજ્યમાં ૨૪,૨૦૦ હેક્ટરમાં ડુંગળીનો પાક લેવામાં આવ્યો હતો. રાજ્યમાં કૃષિ વિભાગે જાહેર કરેલા આંકડા પ્રમાણે શિયાળામાં રાજ્યમાં સરેરાશ ૪૬,૪૦૦ હેક્ટર વિસ્તારમાં ડુંગળીનું વાવેતર થાય છે. આ વર્ષે સરેરાશ ૨૬ ટકા એકરમાં અથવા ૧૨,૧૯૧ હેક્ટરમાં વાવણી થઈ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ડુંગળીનો પાક મુખ્યત્વે ભાવનગર અને સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં લેવામાં આવે છે. આ વર્ષે ૧૨,૧૯૧ હેક્ટરમાં વાવણી કરવામાં આવી છે તેમાંથી સૌરાષ્ટ્રમાં ૧૦,૯૦૦ હેક્ટરમાં વાવેતર થયું છે. ત્યારે આ વર્ષે સૌરાષ્ટ્રમાં પૂરતું પાણી નથી અને એટલા માટે જ ખેડુતો ડુંગળીની વાવણી કરવાનું ટાળી રહ્યા છે. ડિસેમ્બર મહિનાનું પહેલું અઠવાડિયું પૂર્ણ થઈ ગયું છે ત્યારે એકર દીઠ ડુંગળીની વાવણીને વેગ મળે તેવું લાગતું નથી.
મહત્વની વાત એ પણ છે કે ૨૦૧૭ના વર્ષમાં પણ પાણીની તકલીફ હતી જ પરંતુ ખેડૂતોને તેમના પાકમાંથી કમાણી થઈ શકે તેવી રકમ પણ પ્રાપ્ત થઈ હતી જેના કારણે તેમણે વાવણી ચાલુ રાખી હતી. અમદાવાદ એગ્રિકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટી યાર્ડમાં ડુંગળી ૫ થી ૧૧ રુપિયા પ્રતિ કિલો વેચાય છે. ત્યારે રિટેઈલ માર્કેટમાં ડુંગળીનો ભાવ ૨૫ રુપિયા કિલો છે.
આગળની પોસ્ટ