ગુજરાતના આર્થિક પાટનગર ગણાતા અમદાવાદની પાંચ ટીપી સ્કીમને રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આ૫વામાં આવી છે. સાથે સાથે સુરતની બે અને ભાવનગરની એક મળી સમગ્ર રાજ્યમાં કુલ આઠ ટીપી સ્કીમ મંજૂર થઇ છે. અબલત, અનેક ટીપી સ્કિમો મંજૂરીના અભાવે વર્ષોથી ધૂળ ખાઇ રહી છે. મંજૂર થયેલી નવી ટીપી સ્કિમોથી જે તે વિસ્તારમાં નાગરિકોને રોડ, ગટર, પાણી વીજળી વગેરે જેવી પાયાની જરૂરિયાતવાળી સુવિધાઓ મળશે. સાથોસાથ બિલ્ડરોને પણ મોટો આર્થિક ફાયદો થશે, કારણ કે નવા બની ગયેલા બાંધકામો અને જમીનોના ભાવોમાં ઉછાળો આવશે.
અમદાવાદની ટીપી સ્કીમ નંબર ૭૭ હાથીજણ, ટીપી સ્કીમ નંબર-૯૪ શાહવાડી, ટીપી સ્કીમ નંબર-૪૨ સોલા-થલતેજ, ટીપી સ્કીમ નંબર-૮૪ એ મકરબા અને ટીપી સ્કીમ નંબર-૫૫ દક્ષિણ ઇસનપુર એમ પાંચ ટીપી સ્કીમોને મંજૂરી મળી છે. જયારે સુરતની ટીપી સ્કીમ નંબર-૪૨ ભીમરાડ, ટીપી સ્કીમ નંબર-૪ રૂઢ મગદલ્લાને તેમજ ભાવનગરની એક ટીપી સ્કીમ નંબર-૧૦ અદેવાડીનો સમાવેશ થાય છે.અત્રે નોંધનીય છે કે અમદાવાદના દાણીલીમડા વિસ્તારની ટીપી ૩૫ વર્ષથી ધૂળ ખાઈ રહી છે. રાજયમાં અનેક ટીપી સ્કીમ ફાઇનલ થતી નથી. જેને કારણે ઠેર ઠેર ગેરકાયદે બાંધકામો ઉભા થઇ ગયા છે. એટલું જ નહીં, જ્યારે ફાઇનલ ટીપી સ્કીમ મંજૂર થાય છે ત્યારે આવા ગેરકાયદે દબાણો હટાવવાની બાબત પણ તંત્ર માટે માથાનો દુખાવો બની જાય છે. કારણ કે ટીપી જાહેર થયા બાદ દબાણોને હટાવીને ટીપીના મુકેલા માપ મુજબ રસ્તા મેળવવા પડતા હોય છે.
પાણી-ગટર લાઇનો, જાહેર હેતુના પ્લોટમાં ગટર-પાણીનાં પંપીંગ સ્ટેશનો, ગાર્ડનો બનાવવા જેવી કામગીરી કરવાની હોય છે. જેમાં ઘણી મુશ્કેલી પડે છે. ઉપરાંત ટીપી બનાવનારા ટોચના અધિકારીઓ ઘણા કિસ્સામાં ફિલ્ડમાં જ ગયા હોતા નથી. એસી ચેમ્બરમાં બેસીને ટીપી ફાઇનલ કરી નાકતા હોય છે જેથી ઘણી વખત જયાં ટીપીની અંદર ખુલ્લો પ્લોટ દર્શાવાયો હોય છે ત્યાં ગેરકાયદે બાંધકામો હોય છે. ટીપી પાડવામાં અનેક ગરબડો ચાલતી હોય છે.