તમિલનાડુમાં ગત દિવસોમાં ‘ગાજા’ વાવાઝાડાનાને લીધે તબાહી સર્જાઈ હતી. એના અનુસંધાનમાં તમિલનાડુ સરકારે માહિતી આપતા જણાવ્યું કે, ગાજા વાવાઝોડાના કારણે રાજ્યમાં લગભગ ૧ કરોડ વૃક્ષો જમીનદોસ્ત થઈ ગયા હતા. વિનાશક વાવાઝોડાએ ૧ કરોડ નારિયેળીના વૃક્ષો પૈકી ૫૦ લાખ વૃક્ષોને મૂળમાંથી ઉખેડી ફેંક્યા હતા.‘ગાજા’ વાવાઝાડોના કારણે મુખ્યત્વે તંજાવુર, પુડ્ડુકોટ્ટાઈ, તુરુવરાર અને નાગપટ્ટિમ જિલ્લાના ૭૦૦૦૦થી વધુ નારિયેળીની ખેતી કરતા ખેડૂતો માથે આફત આવી પહોંચી છે. તમિલનાડુ સરકારે નારિયેળીના પ્રત્યેક વૃક્ષ માટે ૧૫૧૨ રુપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે.
સરકારની જાહેરાત પછી ખેડૂતોમાં વળતરની ઓછી રકમ મામલે રોષ જોવા મળ્યો હતો. તેમના મુજબ નારિયેળીના વૃક્ષો વર્ષો સુધી રાજ્યની આવકનો મહત્વનો સ્ત્રોત રહ્યો છે. નારિયેળીના એક વૃક્ષને તૈયાર કરવામાં ૧૦ વર્ષનો લાંબો સમય લાગે છે જે પછી નારિયેળનું ઉત્પાદન થવા લાગે છે.તમિલનાડુના થિરુવૈયારુ કોકોનટ રીસર્ચ સેન્ટરના સ્થાપક વી.સી. સેલ્વમે જણાવ્યું છે કે, નારિયેળના વૃક્ષોને ફરી ઉગાડવા શક્ય છે, જે ફક્ત ઉપરના ભાગની ક્ષતિગ્રસ્ત થયા છે. પરંતુ આ માટેની પ્રક્રિયા ખૂબ મોંઘી છે, જેનો ખર્ચ ફક્ત થોડાક જ ખેડૂતો ઉઠાવી શકે છે.