જાહેર ક્ષેત્રનાં સાહસોનાં સીએસઆર વિભાગ દ્વારા આયોજિત બે દિવસીય ગુજરાત સીએસઆર સમીટમાં હાજરી આપવા આવેલાં કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પરિસંવાદમાં પોતાનાં સંબોધનમાં જણાવ્યું કે, “દેશને વધુ ઊંચાઇએ લઇ જવા આપણે વધુ સંવેદનશીલ થવાની જરૂર છે.” આદિવાસી તેમજ પછાત વર્ગને સામાન્ય સમાજનાં પ્રવાહમાં લાવવા દેશમાં સીએસઆર પ્રવૃત્તિઓને વધુ એક વેગ સાથે તેને યોગ્ય મંચ મળે તેનાં પર કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ભાર મુક્યો હતો.
મીડિયા સાથે વાત કરતાં કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે, “આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલનાં ભાવ જો આ પ્રમાણે જ રહ્યાં તો આગામી દિવસોમાં પેટ્રોલ ડીઝલ તેમજ રાંધણગેસનાં ભાવમાં વધુ ઘટાડો થઇ શકે છે. જેને કારણે જનતાને મોંઘવારીમાં થોડી રાહત થઇ શકે છે.” એક મહત્વની જાહેરાત કરતાં કેન્દ્રીય પેટ્રોલિયમ પ્રધાને જણાવ્યું કે, “ભારત સરકાર દ્વારા આગામી સમયમાં બાયો ફ્યુઅલની નવી નીતિનું અમલીકરણ કરાશે. જેમાં ખેત પેદાશ તેમજ જંગલનું વેસ્ટેજ ઉપરાંત શહેરમાંથી ઉત્પન્ન થતાં ગારબેજમાંથી બાયો ગેસનું ઉત્પાદન કરવામાં આવશે. જેનાથી દેશની જનતા સસ્તું ઇંધણ પ્રાપ્ત થશે.”
ધર્મેન્દ્ર પ્રધાને મધ્ય પ્રદેશ અને રાજસ્થાન સહિત દેશનાં પાંચ રાજ્યોમાં યોજાઇ રહેલી વિધાનસભા ચૂંટણીમાં પોતાની પાર્ટી ભાજપની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. તેમને કહ્યું કે, પાંચમાંથી જે બે રાજ્યોમાં કોંગ્રેસ પાસે સત્તા છે તે પણ ભાજપ આંચકી લેશે. બે દિવસ સુધી ચાલનારી ગુજરાત સીએસઆર સમીટમાં રાજ્યમાં આવેલ કેન્દ્ર સરકારનાં જાહેર સાહસોનાં અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ આદિવાસી સમાજનાં ઉત્થાન માટે કાર્ય કરતી સામાજિક સંસ્થાઓનાં પ્રતિનિધિઓ ભાગ લઇ રહ્યાં છે.