અભિનેતા સોનુ સૂદે કહ્યું હતું કે ફિલ્મ સર્જક રોહિત શેટ્ટી પોતાના કલાકારોને પૂરેપૂરા પિછાણતો હોય છે. કલાકારની અંદર બહારની તમામ ખૂબીખામીને એ જાણતો હોય છે.
કરણ જોહરની રોહિત નિર્દેશિત ફિલ્મ સિમ્બામાં ચમકી રહેલા આ અભિનેતાએ વધુમાં કહ્યું કે સિનેમાની કલા પ્રત્યેની રોહિતની સમર્પિતતાનું અનુકરણ દરેક કલાકારે કરવા જેવું હોય છે. તાજેતરમાં સોનુએ સિમ્બાનું પોતાના ભાગનું શૂટિંગ પૂરું કર્યું. આ ફિલ્મના શિડયુલને જરાય જફા ન પહોંચે એટલા માટે તો એણે મણીકર્ણિકા ધ ક્વીન ઑફ ઝાંસી ફિલ્મ અડધેથી જતી કરી.
’જો કે મને મણીકર્ણિકા છોડવી પડી એનો જરાય અફસોસ નથી કારણ કે મને રોહિત અને રણવીર સિંઘમાં એવા કલાકારો દેખાયા જે સંપૂર્ણપણે પોતાની કલાને વરેલા છે. એ લોકો માટે કલા પ્રથમ પ્રેમ છે. બીજું બધું પછી. એમની સાથે કામ કરીને મને ઘણું શીખવા મળ્યું’ એમ સોનુએ કહ્યું હતું.
રોહિત શેટ્ટી સાથે સોનુની આ પહેલી ફિલ્મ હતી. ડિસેંબરની ૨૮મીએ રિલિઝ થનારી આ ફિલ્મમાં પણ સોનુએ વિલનનો રોલ કર્યો છે.