રામરાજ્યની પરિકલ્પના કરનાર ભાજપના નેતૃત્વમાં આજે ચોકીદાર ખુદ ચોર છે, પ્રધાનમંત્રી પર ભ્રષ્ટાચારના લાગી રહેલા આરોપોમાં આધાર-પુરાવાઓ સાથે સત્ય બહાર આવી રહ્યું હોવાનું જણાવતા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ કહ્યું કે, પ્રધાનમંત્રી કાર્યાલય સહિતના મંત્રીઓ પર ભ્રષ્ટાચારના સીધા આરોપો લાગી રહયા છે ત્યારે પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી બંનેએ નૈતિકતાના ધોરણે રાજીનામું આપવું જોઈએ.વિરોધ પક્ષના પરેશ ધાનાણીએ આજે પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, રાષ્ટ્રના ચોકીદાર અને રાજ્યના હવાલદાર બંને ચોર છે એવું અમે વારંવાર કહેતા આવ્યા છીએ. આજે સત્તામાં બેઠેલા લોકો ખુદ સરકારી તિજોરીને લૂંટાવી રહ્યા છે અને એ સત્ય હવે ધીરેધીરે પ્રજા સમક્ષ આવી રહ્યું છે. ગત વર્ષે ગુજરાતમાં ટેકાના ભાવે મગફળી ખરીદી કાંડમાં બોફોર્સના કાલ્પનિક કાંડ કરતાં મોટું બારદાન કાંડ થયું. મગફળીકાંડમાં ચાર હજાર કરોડની મલાઈ કોણ તારવી ગયું? તેનો જવાબ આપવામાં નિષ્ફળ નીવડેલ ભાજપના મુખ્યમંત્રીએ વાત સ્વીકારી છે કે, ગત વર્ષે મગફળી ખરીદીમાં ગોટાળો થયો હતો. ત્યારે મુખ્યમંત્રીએ રાજીનામું આપવું જોઈએ અને ન્યાયપાલિકાના સીટીંગ જજના નેતૃત્વમાં મગફળીકાંડની તટસ્થ તપાસ આપવી જોઈએ.ધાનાણીએ જણાવ્યું કે, ચાર હજાર કરોડના મગફળીકાંડમાં રાજ્યના મુખ્યમંત્રીએ અનિયમિતતાઓ સ્વીકારી છે. જેમાં નાફેડ ઉપર આરોપ લગાવનાર ભાજપ સરકારના મુખ્યમંત્રીએ નાફેડને ખરીદી કરવા વિનંતી કરવી પડે એવા કયા સંજોગો ઊભા થયા? એવી કઈ અનિયમિતતાઓ હતી? કે જેથી નાફેડે ગુજરાત સરકારથી પોતાનું અંતર જાળવ્યું. ગોટાળા કરનાર ભાજપ સરકારના મુખ્યમંત્રીએ નૈતિકતા સ્વીકારી રાજીનામું આપવું જોઈએ અને મગફળીકાંડની ઉચ્ચ ન્યાયપાલિકાના સીટીંગ જજના નેતૃત્વમાં તપાસ થવી જોઈએ.ધાનાણીએ જણાવ્યું હતું કે, ૨૦૦૪થી ૨૦૧૪ સુધી યુપીએના કાર્યકાળમાં તત્કાલીન મુખ્યમંત્રી અને આજના પ્રધાનમંત્રી દરરોજ ઉઠીને વિપક્ષના ચારિત્ર્યનું હનન કરવા માટે સતત આરોપો ઘડતા આવ્યા હતા. આજે સાડા ચાર વર્ષ પછી ભાજપ પક્ષ એક પણ આરોપ સાબિત કરી શકી નથી. આજે ગુજરાત અને સમગ્ર દેશ પ્રધાનમંત્રીને સવાલ પુછે છે કે, તમારા નેતૃત્વ હેઠળ ૫૯ હજાર કરોડના રાફેલ કાંડમાં રાફેલને રમકડું બનાવવાનું ષડયંત્ર કોણે રચ્યું? એ સત્ય સામે આવ્યું છે. ત્યારે એમણે પોતાની જાતને ન્યાયપાલિકા સામે સમર્પિત કરી રાફેલ કાંડની તટસ્થ તપાસ થાય એવી સમગ્ર રાજ્ય અને રાષ્ટ્ર અપેક્ષા રાખે છે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ