પાકિસ્તાનના પોતાના લોકો જ કહી રહ્યા છે કે તેમના દેશની સરકાર ચાર રાજ્યો તો સંભાળી શકતી નથી. કાશ્મીરને શું સંભાળશે? જો કે પાકિસ્તાનની સરકારને કદાચ આવી વાત સમજમાં આવતી નથી. પીઓકે પર ગેરકાયદેસર કબજો જમાવીને બેઠેલા પાકિસ્તાને ભારતના જમ્મુ-કાશ્મીર રાજ્યના અભિન્ન અંગ એવા ગિલગિત-બાલ્તિસ્તાનના વિસ્તારને લઈને નવી ચાલબાજી શરૂ કરી છે.
પાકિસ્તાનની સરકારે ગિલગિત-બાલ્તિસ્તાનના વિસ્તારના કાયદેસરના દરજ્જાની સમીક્ષા માટે એક સમિતિની રચના કરી છે. નોર્ધન એરિયાઝ તરીકે ચર્ચિત જમ્મુ-કાશ્મીરના હિસ્સા એવા ગિલગિત અને બાલ્તિસ્તાનને હવે પાકિસ્તાન પોતાનું પાંચમું રાજ્ય ઘોષિત કરવાની યોજના બનાવી રહ્યું છે. જો કે ભારત આનો આકરો વિરોધ કરી રહ્યું છે.
પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સાકિબ નિસારની આગેવાનીવાળી સાત ન્યાયાધીશોની ખંડપીઠે ઓક્ટોબરમાં સરકારને નિર્દેશ આપ્યો હતો કે તેઓ પાકિસ્તાનના અન્ય રાજ્યોની સમકક્ષ લાવવા માટે આ વિસ્તારના કાયદેસર દરજ્જાની સમીક્ષા કરે.
હવે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાનની આગેવાનીવાળી સરકારે તેના અમલીકરણ માટે દશ સદસ્યોની એક સમિતિ બનાવી છે. પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે પણ તત્કાલિન નવાઝ શરીફની સરકાર દ્વારા રચવામાં આવેલી વિશેષ પેનલની ભલામણ સ્વીકારીને નિર્દેશ આપ્યો હતો. આ પેનલની સંબંધિત વિસ્તારના બંધારણીય અને વહીવટીય સુધારા માટે રચના કરવામાં આવી હતી.
પાકિસ્તાનની પેનલના એક સદસ્યે એ વાત પર આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે જો ભારત પોતાના બંધારણની કલમ-૩૭૦ હેઠળ જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપી શકે છે. તો પાકિસ્તાન ગિલગિત-બાલ્તિસ્તાનને હંગામી ધોરણે પ્રાંતીય દરજ્જો શા માટે આપી શકે નહીં. પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ગિલગિત-બાલ્તિસ્તાનના લોકો પણ પાકિસ્તાની છે અને તેમને પણ તમામ અધિકારો મળવા જોઈએ.
હવે પાકિસ્તાનની સરકાર દ્વારા બનાવવામાં આવેલી કમિટી સંબંધિત ક્ષેત્રનો દરજ્જો આપવાની ભલામણ કરશે. મહત્વપૂર્ણ છે કે આ ક્ષેત્ર સંયુક્ત રાષ્ટ્રના પ્રસ્તાવો હેઠળ વિવાદીત છે. ભલે આ વિસ્તાર પર પાકિસ્તાનનો કબજો હોય. પરંતુ ભારત ગિલગિત-બાલ્તિસ્તાનને જમ્મુ-કાશ્મીરનો એક હિસ્સો માને છે.